—સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉંડા કરાયેલા તળાવમાંથી નીકળેલી માટી ગેરકાયદે વેચવાનું કૌભાંડ જનતાએ ઝડપી તંત્રના ગાલે માર્યો તમાચો!!
રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત અનેક જગ્યાએ ગેર કાયદે માટી વેચી મારવાના કૌભાંડ ચાલી રહયા હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામી છે ત્યારે બારડોલી તાલુકાનાં બાબેન ગામે આવું કૌભાંડ સામે આવ્યું છે અહીં તંત્ર ઉંઘતું રહ્યું ને જનતાએ ઉઘાડું પાડ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉંડા કરાયેલા તળાવમાંથી નીકળેલી માટી ગેરકાયદે વેચવાનું કૌભાંડ ખુલ્લું પાડી જનતાએ સબંધિત વિભાગના અધિકારીઓની લાપરવાહી ખુલ્લી પાડી છે.
બારડોલી તાલુકાનાં બાબેન ગામે તાજેતર માંજ એક બાંધકામ પ્રોજેકટ શરૂ કરાયો છે અને ત્યાં માટી પુરાણ માટે બપોરના સમયે એક સાથે 15થી વધુ માટી ભરેલી ટ્રક આવતા સ્થાનિક જાગૃત રહીશોને શંકા જતાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ માટી બાબલા ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખોદાયેલા રહેલા તળાવમાંથી લવાઇ હોવાનું સામે આવ્યું હતું .
બારડોલીના બાબેન ગામે આવેલ વશિસ્ઠ જેનિસિસ સ્કૂલ અને લાઇફસ્ટાઇલ સોસાયટીથી આગળ શરૂ થયેલા નવા બાંધકામ પ્રોજેકટમાં આ માટી પુરાણ કરવામાં કરવા આ ટ્રકમાં માટી લવાઈ હોવાનું ખુલ્યું હતું.
આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી જળ સંચય માટે અને જરૂરિયાત માટે ખેડૂતને માટી મળી રહે એવા આશય સાથે આ તળાવ ખોદવાનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આજ તળાવમાંથી નીકળેલી માટીનો ગેર કાયદે વેપલો થતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે.
મહત્વનું છે કે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખોદાતા તળાવોની માટી સરકારના નિયમ મુજબ સરકારી પ્રોજેક્ટ તેમજ ગામના ખેડૂતો જ વાપરી શકે તેમજ પ્રાઈવેટ કોમર્શિયલ કામમાં આ માટી વાપરી ન શકાય તેવો નિયમ હોવાછતાં માટી માફિયાઓ માટી વેચી લાખ્ખોની કમાણી કરી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.