ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક કૌભાંડ બહાર લાવી ભારે ખળભળાટ મચાવી દેનારા આપ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ દ્વારા આજે પ્રેસ કોંફરન્સ કરી મીડિયા સમક્ષ વધુ એક કૌભાંડ જાહેર કરી ભારે સનસનાટી મચાવી છે તેઓ એ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
તેઓ એ આજે મંગળવારે ગાંધીનગરમાં પ્રેસ કોંફરન્સ માં ખુલાસો કર્યો કે ઉર્જા વિભાગ દ્વારા UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગોમાં ભરતી દરમ્યાન ગેરરીતી કરવામાં આવી છે. યુવરાજસિંહના આ ધડાકાથી સરકાર ફરી ભીંસ માં મુકાઈ ગઈ છે. યુવરાજસિંહે કહ્યું કે અમારી ટીમ માત્ર કૌભાંડ બહાર લાવે છે અને કોઈ જાતિ, જ્ઞાતિ, વ્યવસાય કે અધિકારીઓ પ્રત્યે કોઈ રાગદ્વેષ નથી. અમે ફક્તને ફક્ત વિદ્યાર્થીઓના હિત ધ્યાન માં રાખી સાચી વાત બહાર લાવીએ છીએ. આજે રાજ્યમાં જે પરીક્ષા ચાલી રહી છે, તેમાં પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. છેલ્લાં 3 વર્ષમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યાં છે. અત્યારે અલગ અલગ કેન્દ્રો પર ભરતી ચાલી રહી છે.
વધુમાં યુવરાજસિંહે ઉમેર્યું હતું કે, GETCOની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવ્યો છે. જેનું એપી સેન્ટર અરવલ્લી અને બાયડ છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપી હોવાનો ખુલાસો કર્યો છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપવી તે ક્યારેય શક્ય નથી. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે, ત્યારે ઓનલાઈન પરીક્ષામાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે.
તેમણે આક્ષેપો કર્યા હતા કે વર્ષ 2021માં લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક્સ અપાયા છે. જેમાં વચેટિયાઓ અવધેશ પટેલ, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, શ્રીકાંત શર્મા (વડોદરા)ની સંડોવણી હોવાનું જણાવ્યું છે. એજન્સીના મળતીયાઓ સાથે સંપર્ક રાખીને આ લોકો કૌભાંડ કરી રહ્યા છે. અજય પટેલ બાયડમાં ક્લાસીસ ચલાવે છે. જ્યારે હર્ષ નાઈ શિક્ષક છે. યુવરાજસિંહે પરીક્ષામાં લાભ લેનારા વિદ્યાર્થીઓના નામ જણાવ્યા હતા. જેમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયમ પટેલ, આંચલ પટેલ, રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, બાબુભાઇ પટેલ, જીગીશા પટેલના નામ પણ જણાવ્યા છે.
આ સિવાય યુવરાજે GETCOની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજમાં હોવાનું જણાવ્યું હતું. જેની કારનો નંબર Gj09AG0393 છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે NSCITની પરીક્ષા ઓનલાઈન લેવાય છે, જે મહારાષ્ટ્રની કંપની છે. જેમાં પટેલ, ચૌધરી પટેલ અને પ્રજાપતિ સમુદાય જોવા મળશે. એક જ ગામના 18 લોકોને નોકરી કેવી રીતે મળી તે મોટો સવાલ હોવાનું જણાવ્યું હતું. અત્યારે ચાલી રહેલી પરીક્ષામાં પણ પૈસા અપાઈ ગયા છે. જેમાં 1 પેપરના 21 લાખ લેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સિલેક્ટ થયા બાદ પૈસા ઉમેદવારો પાસેથી વસુલાય છે. ખાલી એડવાન્સમાં 1 કે 2 લાખ રૂપિયા આપવાના હોય છે. આ પરીક્ષા 3 શિફ્ટમાં લેવાય છે. જેમાં NSCITના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજે જણાવ્યું હતું કે મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે. જેના તમામ આધાર પુરાવા તેમની પાસે હોવાનું જણાવ્યું છે.
યુવરાજસિંહ જાડેજાએ ઉર્જાવિભાગમાં જે ભરતીઓમાં કૌભાંડ થયા છે, તેના વિશે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે.
યુવરાજ સિંહના આરોપ પ્રમાણે બાયડ ચોઈલા ગામલોકો એમાં વધુ જોડાયેલા છે. પાટીદાર, ચૌધરી અને પ્રજાપતિ સમુદાયના લોકો વધુ જોડાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
