દેવની મોરીના ઉત્ખનનમાં મળેલા ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકાના નૂતન વર્ષે ભાવિકોના દર્શનાર્થે પ્રસ્થાન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરક્ષિત રખાયેલા ભગવાન શ્રી બુદ્ધના ૮મી સદીના પવિત્ર અવશેષોને શ્રીલંકા મોકલવાની ગૌરવશાળી વિધિનું નેતૃત્વ કર્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના ભાગરૂપે આ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. વડોદરા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી આ અવશેષોને દિલ્હી મારફતે શ્રીલંકાના કોલંબો ખાતે રવાના કરાયા છે.
દેવની મોરીનું ઉત્ખનન અને અવશેષોનો ઈતિહાસ
આ પવિત્ર અવશેષો શામળાજી પાસે આવેલા ‘દેવની મોરી’ ટેકરા ખાતેથી ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા. ૧૯૬૦ના દાયકામાં એમ.એસ. યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં અહીં એક વિશાળ બુદ્ધ વિહાર હોવાનું સાબિત થયું હતું. આ અવશેષોમાં ભગવાન બુદ્ધના અસ્થિ (એશીસ) સાથેની મંજૂષા, સિલ્કનું વસ્ત્ર અને પથ્થરના ઢાંકણાવાળા બોક્સનો સમાવેશ થાય છે.
‘દશબલ શરીર નિલય’: બ્રાહ્મી લિપિનું લખાણ
અવશેષોના બોક્સ પર સોના અને ચાંદીના તાર ચઢાવેલા છે, જેના પર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમાં ‘દશબલ શરીર નિલય’ લખેલું છે. ‘દશબલ’ એ ભગવાન બુદ્ધનું એક વિશેષ નામ છે અને આ લખાણનો અર્થ ‘ભગવાન બુદ્ધના અવશેષોનું સ્થાન’ એવો થાય છે. આ અવશેષો હિનયાન બૌદ્ધ ધર્મની ‘સમ્મિતિયા’ શાખા સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે.
ભારત-શ્રીલંકા સાંસ્કૃતિક સેતુ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૨૦૨૫ના શ્રીલંકા પ્રવાસ દરમિયાન થયેલી સમજૂતી મુજબ, શ્રીલંકાના નૂતન વર્ષે આ અવશેષો ત્યાં મોકલવામાં આવ્યા છે. કોલંબોમાં તા. ૪ થી ૧૧ ફેબ્રુઆરી સુધી ભવ્ય દર્શન કાર્યક્રમ યોજાશે. ગુજરાતનું એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સામેલ છે, તેઓ આ યાત્રાનું સંચાલન કરશે.
વિદાય વિધિ અને મહાનુભાવોની ઉપસ્થિતિ
મુખ્યમંત્રીશ્રીએ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીની મુલાકાત લઈ ભગવાન બુદ્ધના અવશેષોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બૌદ્ધ સાધુઓના મંત્રોચ્ચાર વચ્ચે ગરિમાપૂર્ણ શોભાયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, મેયર પિંકીબેન સોની અને યુનિવર્સિટીના કુલપતિ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી.


