ઓન્કોસર્જરી વિભાગની સિદ્ધિ, ટોટલ લેરીન્જેક્ટમી સાથે TE પ્રોસ્થેસિસ દ્વારા દર્દીને મળ્યો નવો અવાજ
વડોદરાની સયાજી હોસ્પિટલના ઓન્કોસર્જરી વિભાગ દ્વારા તબીબી જગતમાં એક મહત્વની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ગળાના કેન્સરથી પીડાતા એક દર્દી પર ‘ટોટલ લેરીન્જેક્ટમી’ અને ‘TE પ્રોસ્થેસિસ’ નામની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. ઓન્કોસર્જન ડૉ. નિસર્ગ શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં દર્દીના ગળામાંથી કેન્સરગ્રસ્ત ભાગ દૂર કરવાની સાથે આધુનિક તકનીકનો ઉપયોગ કરીને દર્દીને નવું જીવનદાન આપવામાં આવ્યું છે.
અમેરિકન ટેકનોલોજી દ્વારા દર્દીને ફરી મળશે પોતાનો અવાજ
સામાન્ય રીતે ગળાના કેન્સરની સર્જરીમાં સ્વરપેટી દૂર કરવી પડતી હોય છે, જેના કારણે દર્દી પોતાનો અવાજ ગુમાવી બેસે છે. આ સમસ્યાના નિવારણ માટે ડૉ. નિસર્ગ શાહ દ્વારા અમેરિકન બનાવટના (USA Origin) અત્યાધુનિક વોઈસ પ્રોસ્થેસિસને દર્દીના ગળામાં સફળતાપૂર્વક બેસાડવામાં આવ્યું છે. આ સિલિકોન વાલ્વ શ્વાસની નળી અને અન્નનળી વચ્ચે એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેનાથી અન્નનળી જ સ્વરપેટીનું કામ કરવા લાગે છે. આ ટેકનોલોજીની મદદથી દર્દી ફરીથી બોલી શકશે અને કુદરતી રીતે અવાજ કાઢી શકશે.
આંતરરાષ્ટ્રીય સ્તરની સારવારમાં નિષ્ણાત તબીબોનો સહયોગ
આ જટિલ સર્જરીને સફળ બનાવવામાં અનેક વિભાગોનો સમન્વય જોવા મળ્યો હતો. સુપ્રિટેન્ડન્ટ ડૉ. રંજન ઐયરના માર્ગદર્શન હેઠળ જનરલ સર્જરી વિભાગના ડૉ. શિવાંગ અને ડૉ. એન. જે. શાહ તેમજ ડૉ. દિવ્યા માથુરની એનેસ્થેસિયા ટીમનો મહત્વનો ક્લિનિકલ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રોસ્થેસિસ તકનીક માત્ર અવાજ ઉત્પન્ન કરવામાં જ મદદ નથી કરતી, પરંતુ ખોરાકને ફેફસાંમાં જતો અટકાવીને દર્દીની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે. સરકારી હોસ્પિટલમાં આવી વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ થવી એ ગરીબ દર્દીઓ માટે મોટી આશા સમાન છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ લાખોનો ખર્ચ માફ
ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની અત્યાધુનિક અમેરિકન ટેકનોલોજી સાથેની સર્જરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે અશક્ય હોય છે. જોકે, ભારત સરકારની PMJAY (આયુષ્માન ભારત) યોજના હેઠળ આ મોંઘી સારવાર ગરીબ દર્દીને તદ્દન મફત પૂરી પાડવામાં આવી છે. સયાજી હોસ્પિટલની આ સફળતાએ સાબિત કર્યું છે કે હવે સરકારી સંસ્થાઓમાં પણ ગંભીર બીમારીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે.

