લિવર કેન્સર સામે નવી આશા: શું ‘હિસ્ટોટ્રિપ્સી’ દરેક દર્દી માટે રામબાણ ઈલાજ છે?
વૈજ્ઞાનિક સંશોધનો અને મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં દરરોજ નવા આવિષ્કારો થતા રહે છે. હાલમાં ‘હિસ્ટોટ્રિપ્સી’ નામની એક નવી ટેકનિક કેન્સરની સારવારમાં ચર્ચાનો વિષય બની છે. મેક્સ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના ડો. રોહિત કપૂરના જણાવ્યા અનુસાર, આ ટેકનિક કેન્સરના કોષોને નષ્ટ કરવા માટે ખૂબ જ આશાસ્પદ છે, પરંતુ તે સમજવું જરૂરી છે કે શું આ સારવાર દરેક કેન્સરના દર્દી માટે અસરકારક છે કે નહીં.
હિસ્ટોટ્રિપ્સી શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
હિસ્ટોટ્રિપ્સી એ એક બિન-આક્રમક (Non-invasive) પદ્ધતિ છે, જેમાં શરીર પર કોઈ ચીરો મૂક્યા વગર કે સર્જરી કર્યા વગર કેન્સરની ગાંઠનો ઈલાજ કરવામાં આવે છે. આ ટેકનિકમાં કેન્દ્રિત અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરીને ગાંઠની અંદર નાના પરપોટા (Microbubbles) પેદા કરવામાં આવે છે. જ્યારે આ પરપોટા ફૂટે છે, ત્યારે તે કેન્સરના કોષોને યાંત્રિક રીતે તોડી નાખે છે. સૌથી સારી વાત એ છે કે આ પ્રક્રિયામાં આસપાસના તંદુરસ્ત કોષોને નુકસાન થતું નથી. જોકે, આ ટેકનિકને હજુ થોડા વર્ષો પહેલા જ મંજૂરી મળી છે અને તેના પર સતત સંશોધનો ચાલુ છે.
શું તે દરેક દર્દી માટે અસરકારક છે?
નિષ્ણાતો સ્પષ્ટપણે જણાવે છે કે હિસ્ટોટ્રિપ્સી હજુ ‘યુનિવર્સલ’ સારવાર નથી. અત્યાર સુધીના ક્લિનિકલ ટ્રાયલ્સ અને રિસર્ચમાં આ ટેકનિક મુખ્યત્વે લિવર કેન્સર (યકૃતનું કેન્સર) ના દર્દીઓ પર જ અસરકારક જોવા મળી છે. અન્ય પ્રકારના કેન્સર માટે આ ટેકનિક કેટલી કારગત છે, તે અંગે હજુ પૂરતા પુરાવા મળ્યા નથી. આથી જ અત્યારે તેને મોટા પાયે વાપરવામાં આવતી નથી.
વધુમાં, જે દર્દીઓમાં કેન્સર ખૂબ જ ફેલાઈ ગયું હોય અથવા જેમને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય, તેમના માટે પણ આ ટેકનિક હજુ પ્રાથમિક પસંદગી નથી. હાલમાં સર્જરી, કીમોથેરાપી અને રેડિયોથેરાપી જ લિવર કેન્સરની સારવારના મુખ્ય સ્તંભો માનવામાં આવે છે.
કોના માટે આ ટેકનિક વરદાન સાબિત થઈ શકે?
હિસ્ટોટ્રિપ્સી એવા દર્દીઓ માટે એક આશાનું કિરણ છે જેમના માટે ઓપરેશન શક્ય નથી. ઘણીવાર લિવર કેન્સરના કેસમાં ગાંઠ એવી જગ્યાએ હોય છે જ્યાં સર્જરી કરવી જોખમી હોય છે, અથવા દર્દીની ઉંમર કે નબળાઈને કારણે ઓપરેશન થઈ શકતું નથી. આવા કિસ્સાઓમાં, હિસ્ટોટ્રિપ્સી એક ઉત્તમ વિકલ્પ બની શકે છે કારણ કે તેમાં લોહી વહેવાનું કે ઇન્ફેક્શન થવાનું જોખમ રહેતું નથી.

