કેન્દ્રીય મંત્રીમંડળની મોટી ભેટ: ₹૧૩,૦૪૧ કરોડના ખર્ચે ૪ રેલ્વે લાઇન અને બિહારમાં ચાર-લેન હાઇવેને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટ નેટવર્કને વધુ મજબૂત કરવા માટે પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે સરકારે કુલ ₹૧૩,૦૪૧ કરોડના અંદાજિત ખર્ચે ચાર મોટી રેલ્વે લાઇનના વિસ્તરણ અને બિહાર માટે એક આધુનિક ચાર-લેન હાઇવેના નિર્માણને આખરી મંજૂરી આપી દીધી છે. આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી દેશમાં મુસાફરોની સુવિધા વધશે, માલસામાનની હેરફેર ઝડપી બનશે અને સ્થાનિક સ્તરે લાખો નવી રોજગારીનું સર્જન થશે.
બિહારને મળી ₹૩,૫૯૧ કરોડના ચાર-લેન હાઇવેની ભેટ
કેન્દ્રીય કેબિનેટે બિહારના માર્ગ પરિવહનને સુધારવા માટે ₹૩,૫૯૧ કરોડના ખર્ચે મુઝફ્ફરપુર-સીતામઢી-સોનવર્ષા હાઇવેને ચાર-લેન (Four-Lane) બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. આ હાઇવેના નિર્માણથી ઉત્તર બિહારના આર્થિક અને વેપાર ક્ષેત્રને મોટો વેગ મળશે, તેમજ સરહદી વિસ્તારો સાથેની કનેક્ટિવિટી વધુ સુગમ બનશે.
હાવડા-ચેન્નાઈ મુખ્ય રેલ રૂટનું સંપૂર્ણ ચતુર્ભુજ વિસ્તરણ
રેલવે પ્રોજેક્ટ્સની વિગતો આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશના રેલ નેટવર્કના સાત મુખ્ય ટ્રંક રૂટમાંથી હાવડા-ચેન્નાઈ રૂટ અત્યંત મહત્વપૂર્ણ છે. આ રૂટને સંપૂર્ણ રીતે ચાર-માર્ગી (Four-Track Corridor) માં ફેરવવાનું આયોજન છે. આ સુધારાથી રૂટ પર વધુ સંખ્યામાં સુપરફાસ્ટ અને પેસેન્જર ટ્રેનો ચલાવી શકાશે, જ્યારે કોલસો અને કાચો લોખંડ વહન કરતી માલગાડીઓની અવરજવર પણ સરળ બનશે.
મંજૂર થયેલા ચાર રેલ પ્રોજેક્ટ્સમાંથી પ્રથમ પ્રોજેક્ટ ખડગપુરથી ભદ્રક સુધીના ૧૭૩ કિલોમીટરના સેક્શનને ચાર-લેન કોરિડોરમાં ફેરવવાનો છે. ₹૩,૩૫૨ કરોડના ખર્ચે બનનારા આ રૂટ પર ૪૧ મોટા અને ૧૬૯ નાના પુલ બનાવવામાં આવશે, જે પશ્ચિમ બંગાળ અને ઓડિશા વચ્ચેના ભારે ટ્રાફિકને ઝડપી બનાવશે.
બીજો પ્રોજેક્ટ ભદ્રક અને હરિદાસપુર વચ્ચે ૭૫ કિલોમીટર લાંબી ચોથી રેલ્વે લાઇનના નિર્માણનો છે. ₹૧,૫૩૩ કરોડના ખર્ચે બનનારા આ પ્રોજેક્ટ હેઠળ ૫,૦૦૦ વર્ષ જૂના ઐતિહાસિક શહેર કટકને રેલ ભીડમાંથી મુક્તિ અપાવવા માટે ખાસ રેલ-ઓવર-રેલ અને ફ્લાયઓવર ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ લાઇન શરૂ થવાથી દેશને દર વર્ષે લોજિસ્ટિક્સ ખર્ચમાં ₹૪૩૩ કરોડની બચત થશે અને ૨૬ લાખ માનવ-દિવસે રોજગારી મળશે.
ત્રીજો પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સરહદ નજીક ગુમ્મીડીપૂંડી અને ગુદુર વચ્ચેની ૯૦ કિલોમીટરની હાલની ડબલ લાઇનને ચાર-લેનમાં રૂપાંતરિત કરવાનો છે. ₹૨,૨૨૯ કરોડના આ પ્રોજેક્ટથી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો માર્ગ મોકળો થશે. ચોથો રેલ પ્રોજેક્ટ પારાદીપ-કટક રેલ વિભાગ માટે મંજૂર કરવામાં આવ્યો છે.
આ તમામ પ્રોજેક્ટ્સથી દેશના પૂર્વ અને દક્ષિણ ભાગો વચ્ચેનો આર્થિક અને સામાજિક સંપર્ક વધુ મજબૂત બનશે.
