PM મોદીની મેરઠ મુલાકાત પહેલા હંગામો: બાબરી મસ્જિદના નામે ફાળો ઉઘરાવવાનો આક્ષેપ, ધારાસભ્યએ વ્યક્ત કરી મોટી કાવતરાની આશંકા
ઉત્તર પ્રદેશના મેરઠમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 22 ફેબ્રુઆરીના કાર્યક્રમ પહેલા રાજકીય ગરમાવો આવી ગયો છે. શહેરના કેન્ટ વિધાનસભા વિસ્તારમાં બાબરી મસ્જિદના નામે ફાળો ઉઘરાવવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સ્થાનિક લોકો અને ભાજપના ધારાસભ્ય અમિત અગ્રવાલે આક્ષેપ કર્યો છે કે કેટલાક બહારના શંકાસ્પદ લોકો બળજબરીથી ઉઘરાણું કરી રહ્યા છે, જે કોઈ મોટા કાવતરાનો ભાગ હોઈ શકે છે. જોકે, પોલીસે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
ધારાસભ્ય અમિત અગ્રવાલના ગંભીર આક્ષેપો
આ ઘટનાની જાણ થતા જ કેન્ટના ધારાસભ્ય અમિત અગ્રવાલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે ફાળો ઉઘરાવતા આ લોકો કાશ્મીર, બંગાળ અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા છે અને તે લોકો જબરદસ્તી ઘરો અને દુકાનોમાં ઘૂસી રહ્યા છે. ધારાસભ્યએ આશંકા વ્યક્ત કરી છે કે જ્યારે શહેરમાં RSS પ્રમુખ મોહન ભાગવતની હાજરીની ચર્ચા હોય અને PM મોદી તેમજ CM યોગી આદિત્યનાથના કાર્યક્રમો યોજાવાના હોય, ત્યારે આવી શંકાસ્પદ ગતિવિધિઓને હળવાશથી ન લેવી જોઈએ.
પોલીસની તપાસ અને સ્પષ્ટતા
બીજી તરફ, પોલીસ પ્રશાસને ધારાસભ્યના આક્ષેપોને ફગાવી દીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર, રમઝાનના મહિનામાં દર વર્ષે અલગ-અલગ રાજ્યોમાંથી કેટલાક લોકો ફાળો એકઠો કરવા આવતા હોય છે. જે લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી, તેમને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ લોકો બિહાર, બંગાળ અને આસામના વતની હતા. પોલીસે પ્રાથમિક તપાસ બાદ કોઈ ગુનાહિત ઈરાદો ન જણાતા તેમને પરત મોકલી દીધા છે.
આગળની કાર્યવાહીની ચીમકી
ધારાસભ્ય અમિત અગ્રવાલ પોલીસની આ કામગીરીથી સંતુષ્ટ નથી. તેમણે આક્ષેપ કર્યો છે કે પોલીસે પૂરતી તપાસ કર્યા વગર જ આ લોકોને છોડી દીધા છે. તેમણે જાહેરાત કરી છે કે વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ આ બાબતે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરશે અને ગૃહ સચિવને પત્ર લખીને આ સમગ્ર મામલે ઊંડી તપાસની માંગ કરશે.

