બીસીસીઆઇના 30થી વધુ રાજ્ય એકમોની આગામી ચૂંટણી પર શંકાના વાદળ ઘેરા બન્યા છે. વહીવટદારોની કમિટી (સીઓએ)એ અધિકારીઓના કાર્યકાળ સંબંધે નવા નિયમનું પાલન કરવા જણાવ્યું છે. આ નિર્દેશને પગલે મોટાભાગના સભ્યોનો મતાધિકાર જ છીનવાઇ જાય તેવી સંભાવના છે. રાજ્ય એસોસિએશનોની ચૂંટણી 28 સપ્ટેમ્બરે થવાની હતી પણ હવે તેનો કાર્યક્રમ બદલાઇ શકે છે, કારણકે સીઓએ એ રાજ્ય એસોસિએશનોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે અધિકારીઓના 6 વર્ષના કાર્યકાળની મર્યાદામાં તેમણે પોતાની સંસ્થાઓની કાર્ય સમિતિઓમાં વિતાવેલા સમયને પણ સામેલ કરી દેવામાં આવે.
પોતાનો કાર્યકાળ પુરો કર્યા પછી આ અધિકારીઓએ ત્રણ વર્ષનો બ્રેક લેવો પડશે. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર જો કાર્ય સમિતિમાં વિતાવેલા સમયને પણ કાર્યકાળમાં જોડી દેવાશે તો મોટાભાગના સભ્યો મતદાન પાત્ર પોતાના 80 ટકાથી વધુ સભ્યોને ગુમાવી દેશે. તેમાં બંગાળ ક્રિકેટ એસોસિએશનના સૌરવ ગાંગુલી અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ જય શાહ જેવા અધિકારીઓ પણ સામેલ થઇ જશે.
બીસીસીઆઇના માજી સચિવ અને રાજ્ય એસોસિએશનના એક અનુભવી અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે 6 વર્ષના કાર્યકાળના નિયમ અનુસાર ગાંગુલી અને જય શાહના 10 મહિના બચ્યા છે. જો કે કાર્ય સમિતિના કાર્યકાળને તેમાં જોડી દેવામાં આવે તો તેઓ તાત્કાલિક અસરથી આઉટ થઇ જશે. તેમણે સવાલ કર્યો હતો કે શું સીઓએ ખરેખર ચૂંટણી કરાવવા ઇચ્છે છે કે તેમાં વિલંબ કરાવવા માગે છે.