ભારતીય ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વધુ એક ટી-20 સિરીઝ માટે પોતાને અનુપલબ્ધ ગણાવતા તેના અંગેની ચર્ચાઓએ વેગ પકડી લીધો છે. ધોનીએ આગામી નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમાનારી ટી-20 સિરીઝ માટે પોતાને ગણતરીમાં ન લેવાનું પસંદગીકારોને જણાવી દીધું છે.
આ સાથે એવું પહેલીવાર બન્યું છે કે સતત ત્રણ સિરીઝ માટે ધોનીએ પોતાને અનુપલબ્ધ ગણાવ્યો છે. ધોની છેલ્લે ભારતીય ટીમ વતી ઇંગ્લેન્ડમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં રમ્યો હતો અને છેલ્લે તેણે ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઇનલ મેચ રમી હતી, જેમાં તેણે અર્ધસદી ફટકારી હતી. તે પછી ધોની વેસ્ટઇન્ડિઝ પ્રવાસે ન ગયો અને હાલમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ પણ રમ્યો નથી. તે વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડ વતી રમવાનો હતો પણ હવે તેમાં પણ તે રમવાનો નથી.