ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં આજે રાજકોટ ખાતે બીજી ટી20 મેચ રમાવા જઇ રહી છે. ભારત આ મેચ જીતવા સાથે સિરીઝ ઉપર પણ કબજો જમાવવા સજ્જ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પહેલી વખત ભારત સામે ટી-20માં હારી ગઇ હતી. જેના કારણે આજની મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ વધારે જોસ અને જુસ્સાથી પુનરાગમન કરશે અને મેચમાં વિજય મેળવવા માટે ઉત્સુક છે. હવે બીજી મેચ જીતીને તે ગુજરાતની ધરતી ઉપર ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સિરીઝમાં વિજયના શ્રીગણેશ કરવા સજ્જ છે.
ઓપનરો પર રહેશે નજર
દિલ્હી ખાતે રમાયેલી પહેલી ટી-20માં ભારતની ઓપનિંગ જોડી શિખર ધવન અને રોહિત શર્માએ ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. બંનેની વિસ્ફોટક બેટિંગના કારણે ભારત મોટો સ્કોર કરવામાં સફળ રહ્યું હતું. ન્યૂઝીલેન્ડે આ સિરીઝમાં વાપસી કરવી હશે તો ધવન અને રોહિતને કાબુ કરવા પડશે. તો ટીમ ઇન્ડિયાના રન મશિન ગણાતા સુકાની વિરાટ કોહલીને પણ વિરાટ સ્કોર કરતો અટકાવવો પડશે. ભારતની બીજી ખાસિયત એ છે કે, કદાચ ઓપનિંગ ઓર્ડર નિષ્ફળ પણ જાય તો પાછળ ધોની અને પંડયા જેવા બેટ્સમેન છે જે સારો સ્કોર કરવામાં મદદગાર સાબિત થાય તેમ છે. ધોની પાસે રન કરવા ઉપરાંત કેપ્ટનશિપનો બહોળો અનુભવ હોવાથી વિરાટ સેનાને લાભ થતો આવ્યો છે.
ડેથ ઓવરમાં ભુવનેશ્વર અને બુમરાહ મજબૂત :
જાણકારોના મતે હાલના સંજોગોમાં તો ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ડેથ ઓવરમાં ખૂબ જ સારો દેખાવ કરી રહ્યા છે. સ્પિનરો દ્વારા પણ સારા સ્પેલ નાખવામાં આવ્યા હતા. ભારતીય ટીમ દ્વારા સરેરાશ ખૂબ જ સારો દેખાવ કરવામાં આવી રહ્યો છે. તમામ સ્તરે ભારતીય ટીમ મજબૂત હોવાથી કેન વિલિયમ્સનની આગેવાની હેઠળની કિવિઝની ટીમને જીતવમાં મુશ્કેલી પડશે તે સ્વાભાવિક છે.
ન્યૂઝીલેન્ડની ટીમ દરેક મોરચે નિષ્ફળ :
ન્યૂઝીલેન્ડની ટીમ દરેક મોરચે નિષ્ફળ રહી હતી. પહેલી મેચમાં ટોસ જીતીને ભારતને બેટિંગ આપ્યા બાદ બોલ્ટ અને સાઉથી નવા બોલનો અને શરૂઆતની ઓવરનો લાભ જ લઈ શક્યા નહીં. અંતિમ ઓવરમાં પણ બોલર્સને વિકેટ મળવા કરતા ભારતે વિકેટ ગુમાવી તે કહેવું વધારે વ્યાજબી છે. ફિલ્ડિંગમાં પણ ખેલાડીઓ દ્વારા ઘણી ભૂલો કરવામાં આવી હતી. આ ઉપરાંત કેચ છોડવાની ઘટનાઓ પણ બનતી રહી જેથી ભારતીય ટીમને લાભ થતો ગયો.
યુવા ખેલાડીઓનો કોહલીના નેતૃત્વમાં આત્મવિશ્વાસ વધ્યો : અક્ષર
રાજકોટમાં આજે રમાનારી ટી-20 મેચ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમના બે સ્પિનરએ આજે ટીમની વ્યૂહ રચના અને ગેઈમ પ્લાન તેમજ ટીમના કેપ્ટન વિશે કરેલી વાતોમાં ભારતીય ટીમના લેગ સ્પિનર અક્ષર પટેલે કહ્યું કે ભારતીય ટીમના કેપ્ટન કોહલીના નેતૃત્વમાં યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. કોહલી પોતે જ પ્લેયરને પોતાની રીતે જ પ્લાન બનાવીને બોલિંગ કરવા માટે ફ્રિડમ આપે છે. જો બોલર પોતાના પ્લાનમાં સફળ ન થાય તો જ કોહલી પોતાની વ્યૂહ રચના આપે છે. કોચ રવિ શાસ્ત્રી સલાહ આપતો રહે છે. ટીમમાં સ્થાન મુદ્દે પોતે દરેક મેચને બેસ્ટ પર્ફોમ મેચ જ માનીને રમે છે જેથી બીજી મેચમાં જાતે જ સ્થાન મળે છે. હોમ ગ્રાઉન્ડ હોવાથી પીચ વીશે માહિતી છે. જે રીતે આઈપીએલમાં બોલિંગ કરી એ રીતે જ વિકેટ મુજબ બોલિંગ કરું છું. બેટસમેન સ્વીપ કરીને બોલ ફટકરાવા લાગે તો સ્ટાઈલ ચેન્જ કરી રાઉન્ડ ધ વિકેટ બોલિંગથી કંટ્રોલમાં રાખવાના પ્રયાસ કરતો હોવાનો તેમજ બેટીંગ ચાન્સ મળે તો ઓલરાઉન્ડ પ્રદર્શન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હરીફ ટીમના બેટસમેનોને બાંધી રાખવા એક છેડેથી સ્પીન બીજા છેડેથી ફાસ્ટ એટેક હોવા જોઈએનો પણ મત વ્યક્ત કર્યો હતો. ન્યૂઝીલેન્ડના ઓફ સ્પિનર ઈસ સોઢીએ એકરાર કર્યો કે ભારતની પીચ પર બોલિંગ કરવી અઘરી રહે છે અને વિકેટ મેળવવા વધુ મહેનત કરવી પડે પરસેવો પાડવો પડે છે. ભારતીય સ્પિનર્સ ચહલ અને કુલદીપની બોલિંગ સ્ટાઈલ તદ્દન અલગ જ છે. ન્યૂઝીલેન્ડના સ્પિનર ઇશ સોઢીએ સ્વિકાર્યું હતું કે ભારતની પીચ ઉપર બોલિંગ કરવી અઘરી છે.
ભારતીય મૂળનો ઈશ સોઢી કિવિઝનો આધારભૂત બોલર
શનિવારે ખંઢેરી સ્ટેડિયમમા ભારત સામે કિવિઝની ટીમ ટી-20 મેચનો મુકાબલો કરવાની છે ત્યારે ન્યૂઝીલેન્ડની ટીમમાં સમાવિષ્ટ ભારતીય મૂળના ખેલાડી ઈશ સોઢીનો આધારભૂત બોલર તરીકે સમાવેશ થયો છે. પંજાબના લુધિયાણાથી ન્યૂઝીલેન્ડ સ્થાયી થયેલો સોઢી હાલ સારા ફોર્મમાં છે. ઈશ સોઢીની કિશોરાવસ્થામાં તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ સ્થાયી થયો હતો. રપ વર્ષનો આ ખેલાડી લેગ સ્પીન બોલિંગ કરી બેટ્સમેનોને ચકમો આપી શકે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના એક જ પર્ફોર્મન્સ પછી તેને ટેસ્ટ ટીમમાં સમાવી લેવામાં આવ્યો હતો. જે બાબત તેના પર્ફોર્મન્સનું પ્રમાણ આપે છે. ન્યૂઝીલેન્ડમાં તે સાઉથ ઓકલેન્ડ વતી ક્રિકેટ રમતો હતો. તેણે ન્યૂઝીલેન્ડના દિલીપ પટેલ અને મેટ્ટ હોર્ન પાસે તાલીમ લીધી છે. 2012-13માં તેણે વિવેચકોનું ધ્યાન ખેચ્યું હતું. સિરીઝના પહેલા ટી-20માં રોહિત અને ધવનની સેટ થયેલી જોડીની ભાગીદારી ઈશ સોઢીએ જ તોડી હતી. અગાઉ ઈશ સોઢીનો સમાવેશ માત્ર ટી-20 ટીમમાં કરાયો હતો. પરંતુ ન્યુઝીલેન્ડના ટોડ એસ્લેને ઈજા થતાં વન-ડે સ્ક્વોડમાં પણ તેને સ્થાન મળ્યું છે. રાજકોટમાં ભારત સામે ટી-20 મેચમાં તેને મેદાનમાં ઊતરવાની તક મળશે તો પંજાબનું પાણી ભારત સામે ટકરાઈ શકે તેમ છે.