કોલકાતા : આઇપીએલની 12મી સિઝનની બીજી મેચમાં રવિવારે જ્યારે સનરાઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જંગ જામશે ત્યારે બધાની નજર ઓસ્ટ્રેલિયન ઓપનર અને સનરાઇઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નર પર હશે. ગત વર્ષે ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ફાઇનલ સુધી પહોંચેલી સનરાઇઝર્સ આ વખતે વોર્નરની હાજરીમાં કેવો દેખાવ કરશે અને તેમાં પણ વોર્નરનો પોતાનો વ્યક્તિગત દેખાવ કેવો રહેશે તેના પર બધાનું ધ્યાન રહેશે.
વોર્નરની કેપ્ટનશિપ હેઠળ સનરાઇઝર્સે પોતાનું એકમાત્ર આઇપીએલ ટાઇટલ 2016માં જીત્યું હતુ, જ્યારે 2017માં તે આઇપીએલનો સર્વાધિક રન કરનારો બેટ્સમેન રહ્યો હતો. જો કે બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે લાગેલા એક વર્ષના પ્રતિબંધને કારણે તે 2018ની સિઝનમાં રમી શક્યો નહોતો અને હવે તે આ સિઝનથી પાછો ફરી રહ્યો છે. ગત સિઝનમાં વોર્નરની ગેરહાજરીમાં ટીમનું સુકાન સંભાળનાર કેન વિલિયમ્સન આ સિઝનમાં પણ ટીમના સુકાની તરીકે યથાવત રહેશે.
સનરાઇઝર્સની ટીમ પોતાની બોલિંગના ઉંડાણ અને વેરિએશન માટે જાણીતી છે. ઝડપી બોલિંગની આગેવાની ભુવનેશ્વર કુમાર સંભાળશે જ્યારે સ્પિન બોલિંગની જવાબદારી અફઘાનિસ્તાનનો કિમીયાગર રાશિદ ખાન સંભાળશે. સનરાઇઝર્સે ઓપનર શિખર ધવનના સ્થાને ટીમમાં વિજય શંકર, શાહબાજ નદીમ અને અભિષેક શર્માને સામેલ કર્યા છે. ત્યારે એ જોવું પડશે કે તેઓ ઓપનર તરીકે કોને મેદાને ઉતારે છે.
કેકેઆર ટીમનો કેપ્ટન દિનેશ કાર્તિક આઇપીએલની તકનો ફાયદો ઉઠાવીને વર્લ્ડ કપ માટેની ટીમમાં સામેલ થવા માટે પસંદગીકારોને આકર્ષિત કરવાની ઇચ્છા ધરાવતો હશે. ગૌતમ ગંભીરના ગયા પછી ગત વર્ષે કેકેઆરની ટીમ કાર્તિકની આગેવાનીમાં બીજી એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારીને ત્રીજા સ્થાને રહી હતી.