આઇસીસીએ તેની આ હરકત માટે ચેતવણી આપવાની બેંગલુરૂ, તા. 23 (પીટીઆઇ) : ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મેદાન પર ગેરવર્તન મામલે ચેતવણી આપી છે અને તેની સાથે જ આઇસીસીના કોડ ઓફ કન્ડક્ટના ભંગ બદલ તેના ખાતામાં એક ડિ મેરીટ પોઇન્ટ પણ જોડી દેવાયો છે. અહીં રમાયેલી ત્રીજી ટી-20માં વિરાટે ખોટી રીતે દક્ષિણ આફ્રિકન બોલર બ્યરન હેન્ડ્રીક્સ સાથે ખભો અથડાવ્યો હતો, તેના કારણે તેને કસુરવાર ઠેરવવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2016માં આઇસીસીના નવા નિયમો લાગુ કરાયા પછી આ એવું ત્રીજીવાર બન્યું છે કે જેમાં કોહલીના રેકોર્ડમાં નેગેટિવ પોઇન્ટ જોડાયો હોય.
રવિવારની એ મેચમાં વિરાટ એક રન દોડતો હતો ત્યારે હેન્ડ્રીક્સ તેના માર્ગમાં આવ્યો હતો અને ત્યારે વિરાટે તેની સાથે પોતાનો ખભો અથડાવ્યો હતો. કોહલીની આ હરકત માટે આઇસીસીએ કોડ ઓફ કન્ડક્ટ હેઠળ તેને લેવલ-1નો કસુરવાર ગણ્યો હતો અને તેને સત્તાવાર ચેતવણી પણ આપવામાં આવી હતી અને તેને એક ડિ મેરિટ પોઇન્ટ પણ અપાયો હતો. કોહલીના ખાતામાં હવે 3 ડિમેરીટ પોઇન્ટ થયા છે, હવે જો તેના ખાતામાં વધુ એક ડિમેરિટ પોઇન્ટ ઉમેરાશે તો તેના પર એક ટેસ્ટ અથવા બે વનડે અથવા બે ટી-20નો પ્રતિબંધ લાગી શકે છે.