ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20 ક્રિકેટ મેચ રમવા માટે રાજકોટ આવેલા લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલે સ્પષ્ટતા કરી હતી કે તે પોતાની જાતને રવીન્દ્ર જાડેજાના સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે ગણતો નથી અને સારો દેખાવ કરશે તો ટીમમાં આપોઆપ પસંદ થતો રહેશે. ઓગસ્ટ મહિના બાદ જાડેજાને સ્થાને પસંદ કરાયેલા અક્ષર પટેલે આઠ વન-ડેમાં દસ વિકેટ ઝડપી છે અને તે ચુસ્ત બોલિંગ કરી રહ્યો છે.
શુક્રવારે મેચની પૂર્વસંધ્યાએ પત્રકારો સાથે વાતચીત કરતાં અક્ષર પટેલે જણાવ્યું હતું કે મેં ટીમમાં જગ્યા હાંસલ કરી છે અને તેથી જ હું રમી રહ્યો છું. હું એવો અભિપ્રાય ધરાવું છું કે હું એક મેચમાં સારો દેખાવ કરીશ તો બીજી મેચમાં મારી પસંદગી આપોઆપ થવાની છે. પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં મુંબઈ ખાતે ટોમ લાથમે વારંવાર સ્વિપ શોટ રમ્યા હતા અને તેને કારણે ભારતનો પરાજય થયો હતો. એ મેચ બાદ ભારતીય ટીમમાં કુલદીપ યાદવને સ્થાને અક્ષર પટેલને સામેલ કરાયો હતો. ટીમની આ યુક્તિ સફળ રહી હતી અને ત્યાર બાદ ભારતે તમામ મેચ જીતી છે. ગુજરાત માટે રણજી ટ્રોફી રમતાં અક્ષર પટેલે જણાવ્યું હતું કે પહેલી મેચમાં તેઓ સારી રીતે સ્વિપ શોટ રમ્યા હતા. અમે જાણતા હતા કે તેઓ સ્પિનર્સ સામે આ પ્રકારની રણનીતિ અપનાવશે અને તેથી જ અમે અમારી રણનીતિ ઘડી હતી અને તેમની સામે વારાફરથી રાઉન્ડ ધ વિકેટ અને ઓવર ધ વિકેટ બોલિંગ કરી હતી.
કેપ્ટન વિરાટ કોહલી તેનામાં વિશ્વાસ ધરાવે છે અને તેને પૂરી સ્વતંત્રતા આપે છે તેમ કહીને આ લેફ્ટ આર્મ સ્પિનરે જણાવ્યું હતું કે તમે સારી બોલિંગ કરો ત્યારે કેપ્ટન તમને પ્રોત્સાહન આપતો રહે છે. હું બીજી વન-ડેથી ટીમમાં રમી રહ્યો છું. મારે જે રીતે બોલિંગ કરવી હોય તે રીતે બોલિંગ કરવાની કોહલીએ મને સ્વતંત્રતા આપી છે. અમારે (મારે અને ચહલે) શું કરવુ જોઇએ તેનો નિર્ણય કોહલી અમારી ઉપર છોડી દે છે. તે અમને કહે છે કે આ પ્લાન સફળ નહીં થાય તો પણ હું તમને ટેકો આપતો રહીશ. આ બાબતથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે.
અક્ષર પટેલે તાજેતરના ગાળામાં ઘણી કરકસરયુક્ત બોલિંગ કરી છે. તેણે દિલ્હી ખાતેને પ્રથમ ટી20માં ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને બે વિકેટ લીધી હતી. ચીફ કોચ રવિ શાસ્ત્રી ખુદ લેફ્ટ આર્મ સ્પિનર હતા. તેઓ અક્ષર પટેલને માનસિક રીતે મજબૂત થવાની સલાહ આપે છે. અક્ષરે જણાવ્યું કે તેઓ જાણે છે કે તેમની અને મારી બોલિંગ સ્ટાિલ અલગ છે. તેઓ મને હંમેશાં કહે છે કે કેવી રીતે બોલિંગ કરવી અને તેને કારણે જ તું ટીમમાં સ્થાન ધરાવે છે.