મોહાલી : આઇપીઍલની હાલની સિઝનમાં સતત 6 મેચ હારી ચુકેલી વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ શનિવારે અહીંના આઇઍસ બિન્દ્રા સ્ટેડિયમમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાને પડશે ત્યારે તેમના માટે આ મુકાબલો કરો યા મરો જેવો રહેશે. જો વિરાટ કોહલીની આ ટીમ પ્લે અોફમાં પહોંચવા માગતી હોય તો તેણે બાકી બચેલી તમામ મેચ મોટા માર્જીનથી જીતવી પડશે.
આરસીબીની ટીમ આ આઇપીઍલમાં રમતના તમામ પાસામાં નોંધપાત્ર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. બોલિંગ અને બેટિંગની સાથે ફિલ્ડીંગમાં પણ તેમનું સ્તર નીચે ઉતર્યુ છે. કેકેઆર સામે તો 205 રનનો સ્કોર પણ આરસીબીના બોલરો ડિફેન્ડ કરી શક્યા નહોતા અને રસેલે 13 બોલમાં 48 રન ઝીંકીને બાજી પલટી નાખી હતી. તેમના બોલર્સમાં ઍકમાત્ર યજુવેન્દ્ર ચહલ સિવાય કોઇ બોલર ધ્યાન ખેંચી શક્યો નથી. સામે પક્ષે પંજાબ પોતાની છેલ્લી મેચ મુંબઇ સામે હાર્યુ હોવાથી તેઅો જીતના ટ્રેક પર પાછા આવવા માગશે.