ICC T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ પાકિસ્તાન સામે થશે, આ હાઈવોલ્ટેજ મેચ 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. તમામ ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતની ટી-20 વર્લ્ડકપમાં અત્યાર સુધી કેવી રહી છે સફર તેના પર એક નજર.
જયારે 2007માં T20 ક્રિકેટની શરૂઆત થઇ હતી ત્યારે ભારતે 2007માં યોજાયેલ આ સૌપ્રથમ વિશ્વકપમાં વિજય મેળવતા ઈતિહાસ રચી દીધો હતો.
આ વર્લ્ડ કપ દરમ્યાન અમુક સંજોગોના કારણે તે સમયના ભારતના સિનિયર ખેલાડીઓ એ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હતો. ત્યારે ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ એ એક આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો જેમાં મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનશીપ સોપિદેવામાં આવી હતી. અને ધોનીની ટીમે એ વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચી પાકિસ્તાનને પરાસ્ત કરી વિજય હાંસલ કરી ભારતીય ક્રિકેટમાં પરિવર્તનની શરૂઆત કરી દીધી હતી. અને આ વર્લ્ડ કપ બાદ જ ધોનીની કેપ્ટન્સીનો ઉદય થયો હતો.
ત્યાર બાદ ૨૦૦૯ : સુપર-૮માં ત્રણેય મેચ હારીને બહાર
ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરેલા ભારતે ગ્રુપ સ્ટેજમાં આયર્લેન્ડ-બાંગ્લાદેશને હરાવ્યું હતુ. જોકે સુપર-એઈટમાં ભારત વિન્ડિઝ સામે ૭ વિકેટથી, ઈંગ્લેન્ડ સામે ત્રણ રનથી અને સાઉથ આફ્રિકા સામે ૧૨ રનથી હાર્યું હતુ. આ સાથે ભારત બહાર ફેંકાયું હતુ. આ વર્લ્ડ કપમાં શ્રીલંકાને ૮ વિકેટથી હરાવીને પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતુ.
ત્યાર બાદ ૨૦૧૦ : ફરી સુપર-૮માં ત્રણેય મેચ હારતાં બહાર
એક વર્ષ બાદ જ યોજાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો અને ટીમ ઈન્ડિયા ફરી સુપર-૮માં ત્રણેય મેચ હારીને બહાર ફેંકાઈ હતી. ધોનીની કેપ્ટન્સીમાં જ રમવા ઉતરેલા ભારતે ગ્રુપ સ્ટેજમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામે જીત હાંસલ કરી હતી. જોકે સુપર-૮માં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ૪૯ રનથી, વિન્ડિઝ સામે ૧૪ રનથી અને શ્રીલંકા સામે પાંચ વિકેટથી પરાજય થયો હતો અને ટીમ બહાર ફેંકાઈ હતી. વિન્ડિઝમાં યોજાયેલા આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ટ્રોફી જીતી હતી.
જયારે ૨૦૧૨ : ભારત રનરેટને કારણે સુપર એઈટમાંથી આઉટ
ભારતીય ટીમ ચેમ્પિયન બન્યા બાદના સળંગ ત્રીજા વર્લ્ડ કપમાં સુપર-એઈટમાંથી બહાર ફેંકાઈ હતી. ભારતે ગ્રુપ સ્ટેજમાં ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતુ. સુપર એઈટમાં પણ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ૯ વિકેટથી પરાજય થયો હતો. જોકે ભારતે પાકિસ્તાનને ૮ વિકેટથી અને સાઉથ આફ્રિકાને ૧ રનથી હરાવ્યું હતુ. સુપર-૮ના અંતે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ભારતના પોઈન્ટ ૪-૪ થયા હતા. જોકે, ઓસ્ટ્રેલિયાનો રનરેટ ૦.૪૬૪, પાકિસ્તાનનો રનરેટ ૦.૨૭૩ અને ભારતનો રનરેટ -૦.૨૭૪ હોવાથી ભારત બહાર ફેંકાયું હતુ.
૨૦૧૪ : શ્રીલંકા સામે ફાઈનલમાં છ વિકેટથી પરાજય
નવા ફોર્મેટમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સહિતની ટોચની ટીમો સીધી સુપર-૧૦માં ક્વોલિફાય થઈ હતી. ભારતે પાકિસ્તાને ૭ વિકેટથી, વિન્ડિઝને ૭ વિકેટથી, બાંગ્લાદેશને આઠ વિકેટથી અને ઓસ્ટ્રેલિયાને ૭૩ રનથી હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં સાઉથ આફ્રિકાને છ વિકેટથી હરાવ્યું હતુ. જોકે મીરપુરમાં રમાયેલી ફાઈનલમાં ભારતનો શ્રીલંકા સામે ૬ વિકેટથી પરાજય થયો હતો. કોહલીએ સૌથી વધુ ૩૧૯ રન ફટકાર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ સિરિઝ બન્યો હતો.
૨૦૧૬ : વિન્ડિઝ સામે સેમિ ફાઈનલમાં ૭ વિકેટથી પરાજય
ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે યોજાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં જીતના જુસ્સા સાથે શાનદાર દેખાવ કર્યો હતો. સુપર-૧૦માં ભારતનો ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં ૪૭ રનથી પરાજય થયો હતો. જોકે ભારતે પાકિસ્તાનને છ વિકેટથી, બાંગ્લાદેશને એક રનથી અને ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટથી હરાવીને ગ્રુપમાં બીજા સ્થાને રહીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતે વિન્ડિઝ સામેની સેમિ ફાઇનલમાં કોહલીના ૪૭ બોલમાં ૮૯* રનની મદદથી બે વિકેટે ૧૯૨ રન કર્યા હતા. જવાબમાં વિન્ડિઝે ૧૯.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૬ રન કરતાં મેચ જીતી લીધી હતી. સિમોન્સે ૫૧ બોલમાં અણનમ ૮૨ રન ફટકાર્યા હતા. આખરે ફાઈનલમાં વિન્ડિઝ ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતુ.
હવે દરેક ભારતીય ક્રિકેટ પ્રેમિયો આ 2021માં રમાનાર વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની આગેવાનીમાં જે ટીમ મેદાનમાં ઉતરવાની છે તેમના ઉપર આશા રાખી રહ્યા છે કે આ વખતે ટીમ ઇન્ડિયા ફરી એક વાર ઇતિહાશ રચશે.