શૌર્ય અને પરંપરાનો મહામેળો: ડાંગના રાજવીઓની ઐતિહાસિક શોભાયાત્રાથી ગૂંજ્યું આહવા
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી જયરામભાઈ ગામિત દ્વારા ઐતિહાસિક ‘ડાંગ દરબાર’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ અંગ્રેજોની ગુલામી સામે ક્યારેય ન ઝૂકનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાને યાદ કરી હતી. આ ઉત્સવ માત્ર મેળો નથી, પરંતુ આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃતિ પ્રેમ અને કલા વારસાને ઉજાગર કરતો એક અમૂલ્ય અવસર છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે ૨જી માર્ચે રાજ્યપાલશ્રી પણ આહવા ખાતે પધારીને રાજવીઓનું વિશેષ સન્માન કરશે.
રાજવીઓનું પરંપરાગત સન્માન અને સાલિયાણાની પ્રણાલી
ડાંગ દરબારની વર્ષો જૂની પરંપરા મુજબ, આ કાર્યક્રમમાં ડાંગના પાંચ રાજવીઓનું શાલ, પાન-સોપારી અને સ્મૃતિભેટ આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા રાજવીઓને સાલિયાણા (રાજકીય પેન્શન) અર્પણ કરવાની વિધિ પણ સંપન્ન થઈ હતી. સામા પક્ષે રાજવીઓએ પણ પ્રજા વતી મહાનુભાવોને ધનુષ-બાણ આપીને તેમનું આત્મીય સ્વાગત કર્યું હતું. રાજવી પરિવારના સભ્યએ પર્યાવરણ જાળવણીની અપીલ સાથે સૌને હોળી-ધૂળેટીના ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી.
વિકાસની રફતાર અને ડાંગની ગરિમા વધારવાની પ્રતિબદ્ધતા
સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે ડાંગ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. ડાંગને પ્રવાસન ક્ષેત્રે ‘અતુલ્ય ભારત’ના વિઝન સાથે જોડવાની અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે નવા પ્રકલ્પો શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. સરકારના આ પ્રયાસોથી આદિવાસી ગૌરવની સાથે સાથે સ્થાનિક લોકોના જીવનધોરણમાં પણ મોટો સુધારો આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ભવ્ય શોભાયાત્રા અને ડાંગી નૃત્યોની જમાવટ
ઉદ્ઘાટન પૂર્વે જિલ્લા સેવા સદનથી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં રાજવીઓ શણગારેલી બગીઓમાં સવાર થઈ નગરચર્ચાએ નીકળ્યા હતા. કલેક્ટર શાલિની દુહાને મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ રંગ ઉપવન ખાતે ડાંગી નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની, ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જેમણે ડાંગની અસલ સંસ્કૃતિની ઝલક માણી હતી.

