કેન્દ્રીય બજેટ-2026: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
6 Min Read

કરદાતાઓનું સન્માન અને MSME ને બળ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ ૨૦૨૬ ના મહત્વના પાસાઓ પર આપ્યો ભાર.

:: મુખ્યમંત્રી ::

* કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપે છે.
* સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો સરાહનીય અભિગમ.
* લોથલ અને ધોળાવીરાનો પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થવાથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે.
* 5 લાખથી વધુ વસ્તીવાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે
* MSMEથી લઈને મોટા ઊદ્યોગ, સૌને માટે પ્રોત્સાહક બજેટ છે.
* ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.

- Advertisement -

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું 2026-27ના વર્ષનું બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવમાં તેમણે કહ્યું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. આ ત્રણ કર્તવ્યોમાં, પ્રથમ કર્તવ્ય આર્થિક વિકાસને વેગ આપીને તેને ટકાવી રાખવાનું, બીજું કર્તવ્ય લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને તેમની કેપેસિટી બિલ્ડીંગનું છે. ત્રીજું કર્તવ્ય, સૌના સાથ, સૌના વિકાસના વિઝન સાથે સુસંગત છે અને કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય આપે છે.

- Advertisement -

Gujarat CM Bhupendra Patel Development Work Quality Grant Instructions 2026.png

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ બજેટમાં ગ્યાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે. એટલું જ નહિ, સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને વિકસિત ભારતના નિર્માણમાં આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કેન્દ્રીય બજેટ અંતર્ગત ગુજરાતને ભવિષ્યમાં થનારા ફાયદાઓને આવકારતા કહ્યું કે, લોથલ અને ધોળાવીરાનો દેશના પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે. દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં પણ સ્થાનિક રોજગારીની તકો વધશે.

- Advertisement -

મુખ્યમંત્રીએ આ બજેટને શહેરી વિકાસને નવી દિશા આપનારું બજેટ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, શહેરી ઉત્કર્ષ માટે વડાપ્રધાનની અતૂટ સંકલ્પબદ્ધતા આ બજેટમાં પ્રતિબિંબિત થઈ છે. 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે એવી આશા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

ગુજરાત દેશમાં મ્યુનિસીપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ બોન્ડ માર્કેટને સુદ્રઢ કરવા માટે કેન્દ્ર સરકારનું પ્રશંસનીય કદમ છે. આ બજેટમાં મ્યુનિસીપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, આ બજેટ MSMEથી લઈને મોટા ઊદ્યોગ, સૌને માટે પ્રોત્સાહક બજેટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે અને એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે તેમજ ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ પણ રાજ્યના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.

Bhupendra Patel Free Land to Municipalities Decision 2.png

આ ઉપરાંત, ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે. ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર બનાવવાની જે જાહેરાત થઈ છે તેનાથી દેશની ક્રિટિકલ મિનરલ્સની જરૂરિયાતમાં આત્મનિર્ભરતાનું વધુ એક કદમ સાબિત થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્ર સરકારે મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની નજીક 5 યુનિવર્સિટી ટાઉનશીપ બનાવવાની આ બજેટમાં જાહેરાત કરી છે. બહુવિધ યુનિવર્સિટીઓ, કોલેજો, સંશોધન સંસ્થાઓ, કૌશલ્ય કેન્દ્રો અને રહેણાંક સંકુલ સહિતના આ આયોજિત શૈક્ષણિક ઝોનથી રાજ્યોની સ્કિલ ઇકોસિસ્ટમને બળ મળશે તેવો મત ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા સુરતને પૂર્વ ભારતના દાનકુની સાથે જોડવાની જાહેરાત લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની દિશામાં એક ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત થશે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત પાસે હવે પૂર્વ ભારત તરફ વેપાર કરવા માટે ‘હાઈ-સ્પીડ’ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે, તે રાજ્યના વેપાર અને અર્થતંત્રને અભૂતપૂર્વ ગતિ આપશે. આ ઉપરાંત 20 નવા નેશનલ વોટર વેઝ બનાવવાની જાહેરાતથી દેશમાં જળમાર્ગે પણ કનેક્ટિવિટી વધુ સુદ્રઢ થશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખાદી, હાથશાળ અને હસ્તકલાને સુદ્રઢ બનાવવા માટે વડાપ્રધાનના નેતૃત્વમાં મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ શરૂ કરવાનો પ્રસ્તાવ આ બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે.

આના પરિણામે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર જોડાણ અને બ્રાન્ડિંગમાં મદદ મળશે. લીમ, કૌશલ્ય, પ્રોસેસ અને ઉત્પાદનની ગુણવત્તા સંગીન થશે. એટલું જ નહિ, વણકરો, ગ્રામ્ય ઉદ્યોગો, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને ગ્રામીણ યુવાનોને લાભ થશે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, વડાપ્રધાનએ હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના ચાલક બળ ગણાવ્યાં છે. આ બજેટમાં પણ કરદાતાઓનાં સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતા વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે તે પણ પ્રસંશનીય છે.

મુખ્યમંત્રીએ સમગ્રતયા સર્વસમાવેશી, સર્વ સ્પર્શીય અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહિ વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપનારા બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય નાણાંમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.