અમદાવાદઃ આજથી માતા આદ્યશક્તિની આરાધનાનું નવ દિવસનું પર્વ એટલે નવરાત્રી શરૂ થઇ છે. આ નવ દિવસોમાં અલગ-અલગ દિવસે નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તો ચાલો જાણીયે..
પ્રથમ દિવસે શૈલપુત્રીની આરાધના
નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાના ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલે માતા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે.
માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.
આસો સુદ-૧ના રોજ આ સ્વરૃપની ઉપાસના થાય છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને મુલાધારચક્રમાં સ્થિત કરે છે. જ્યાંથી યોગસાધનાનો આરંભ થાય છે.
યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।
માતાતા સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.