અમદાવાદઃ માતા આદ્યશક્તિના નવદુર્ગાના સ્વરૂપની નવરાત્રી દરમિયાન પૂજા-આરાધનનું અનેરું મહત્વ છે. નવરાત્રીના સાતમાં નોતરે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રીનું સ્વરૂપ ઊગ્ર અને ભયંકર, ડરાવના છે પરંતુ તે પોતાના ભક્તો માટે કલ્યાણકારી અને અભય પ્રદાન કરનાર માતા છે.
માં નવદુર્ગાનું સાતમું સ્વરૂપ માતા કાલરાત્રી તરીકે ઓળખાય છે, કાલરાત્રી માતાજી કૃષ્ણા વર્ણના રૂપમાં દેખાય છે, ત્રણ નેત્રો ધરાવે છે, ગળામાં અલૌકિક માળા ધારણ કરેલી છે. શ્વાસોશ્વાસમાં અગ્નિની જવાળાઓ પ્રગટે છે. માતાજી ગદર્ભ પર બિરાજમાન છે. નવરાત્રીના સાતમાં દિવસે માતા કાલરાત્રીના આ શકિત સ્વરૂપની પુજન કરવાથી ભૂત-પ્રેત તથા જળથી રક્ષણ પ્રાપ્ત થાય છે.
પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિનું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી “શુભંકરી” તરીકે પણ ઓળખાય છે.
બીજ મંત્ર
ઓમ ઐં હીં ક્લિં કાલરાત્રે નમઃ
માતા કાલરાત્રી દુષ્ટોનો નાશ કરનાર છે. દાનવ – દૈત્ય, રાક્ષસ-ભૂત, પ્રેત વગેરે દેવીના સ્મરણ માત્રથી ભયભીત થઇ જાય છે. જે મનુષ્ય કાલરાત્રી દેવીની પૂજા કરે છે, તે ગ્રહ પીડા-બાધામાંથી મુક્ત થાય છે. તેમને અગ્નિ, જલ, પશુ કે અકસ્માતનો ભય સતાવતો નથી. દેવીની કૃપાથી ભક્તોને અભય પદ પ્રાપત થાય છે.