Spiritual: જૂનાગઢ એ ‘આદિકવી’ તરીકે ઓળખાતા ભક્તકવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ છે. નરસિંહ મહેતાએ ગુજરાતી સાહિત્યમાં એક અમીટ છાપ છોડી છે. ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’ કહીને ઈશ્વરને જગાડનાર આ કવિના ભક્તિકર્મથી જૂનાગઢ સમૃદ્ધ થયું છે, તો તેમના કવિકર્મથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. પ્રભાતિયાં હોય કે ભજન, લોકગીત હોય કે ગરબા દરેકને ભક્તિરસમાં ઢાળીને ઈશ્વરને સાક્ષાત થનાર કવિના ચોરામાં આજે પણ ગરબી રમાય છે, તો તેમના નામનો ગુજરાતી સાહિત્ય સર્વોચ્ચ એવોર્ડ પણ અપાય છે.
(૧) આજ્ઞાન અબુદ્ધ તારું મન
આજ્ઞાન અબુદ્ધ તારું મન ચોદિશ ભ્રમે, પ્રીત રીત તું શું રે જાણે ?
પ્રીત વિના તું વિપરીત મુખ ઓચરે, એમ અજ્ઞાન તું કેમ આણે ? અજ્ઞાન.
વિશ્વવ્યાપક પાળક છે શ્રીહરિ, તે રધુનાથને તું શું રે જાણે ?
વેદ નેતિ કહે નારદ શારદ સદા જપે, જે હરિ ચોપિકા પ્રેમ આણે ? અજ્ઞાન.
જે રઘુધીર કહાવે સદા, દશરથવીર રઘુનાથ કહાવે;
અળગી છે સર્વથી સર્વ મધ્યે સદા, તે અલ્પબુદ્ધિને ઘટ કેમ આવે ? અજ્ઞાન.
અલ્પમતિ ઓચરે, જન્મ વૃથા કરે, હરિજન વિના હરિ હાથ નાં’વે;
ભણે નરસૈંયો હું અસત્ય ન આચરું, લીન થયા હારી કેમ આવે ? અજ્ઞાન.
(૨) મારો ઠાકોર શ્રી દામોદર
મારો ઠાકોર શ્રી દામોદર,મારી સાર કીધી સાંભળી રે;
અંતર નવ રાખ્યો મન સાથે, હાર આપ્યો ઉતારી રે. મારો ઠાકોર.
રમઝમ કરતાં હારી પધાર્યા, આપ્યો દાસને હાર રે;
સખીઓ સઉકો હરિને વધાવે,બોલે જેજેકાર રે. મારો ઠાકોર.
શ્રીમુખ બોલે દમોદરજી, ધનધન વૈષ્ણવ જાત રે;
અત:કરણ સાક્ષી મારો, વેચાઈ તારે હાથ રે. મારો ઠાકોર.
શિવ-સનકદિક, નારદ-શારદ, દેવતા તેત્રીસ ક્રોડ રે;
અંતરીક્ષ રહીને જે જે બોલર, નરસૈંયો જીત્યો હોડ રે. મારો ઠાકોર.
(૩) બળિતણે દ્વારે હરિ
બળિતણે દ્વારે હરિ, વિપ્ર વામન હુવા,વેદની ધૂન ગઈ ગગન ગાજી;
ઇન્દ્રપ્રસ્થથી બળિ આવ્યો ઉતાવળો, જે રે જોઇએ તે દ્વિજલ્યોને માગી.. બળિ
એક પર્ણકુટી તણો,ઠામ ભણવા કરું,બોલવું તે મારે મૂળ સાચું;
વિપ્ર ફરે ઘણા લોભના વાહેલા,દાન્ન માટે ઘણો હું ન રાચું. બળિ
લ્યોને દ્વિજજી તમે નવનવાં મંદિરો,ભૂમિ શું માગી રે ત્રણ ડગમાં?
લ્યોજી ભંડાર બહુ કુંચીઓ સહીત વળી,માગો હસતી મારા રાખો ઘરમાં. બળિ
હસતીભંડારને હું લેઈ શું કરું,લોભિયાની નથી જાત મારી;
આગે વિધાતાએ વામન નીરમ્યો, વ્રતે રહેલું મારે બ્રહ્મચારી. બળિ
ચેતજે તું બળિ,શુક્ર કહે છળ પડ્યો,વિષ્ણુ એ વામન વેશધરી;
અશ્વજગત સમે, દાન અવનીતણું, પાત્ર એવું ક્યાં મળે મુનિ મુરારિ. બળિ
હરિતણા ચરણ ઉપર નીર નામતાં,નાળમાં ભૃગુસુત પેઠે ચાલી;
રીસ હૃદય ધરી, ઘણું ઘણું રાયજી,નેત્રમાં દર્ભની શેર ઘાલી. બળિ
બાપડો બળિરાય, પગ તળે ચાંપિયો,પ્રભુ પાતાળનો કરીને ચાપ્યો.
ભણે નરસૈંયો,હરિભક્ત આધીન છે,ઈન્દ્ર અવિચળ અધિકાર આપ્યો. બળિ
(૪) જગને જાદવા
જગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિણ ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો રે ગોવાળિયો કોણ થાશે ?
દહીં તણાં દૈથરાં ઘી તણાં ધેબરાં,
કઢિયેલાં દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળિનાગનાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે ?
જમુનાને તીરે, ગૌધણ ચરાવવાં,
મધુરી શી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તાર ગુણ ગાઈ રીઝિયે,
બૂડતાં બાંહેડી કોણ સહાશે ?
(૫) રાત રહે જાહરે
રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી,
સાધુ પુરુષને સૂઈ ન રહેવું;
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ,
એક તું એક તું એમ કહેવું.
જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેને ભોગ તજવા;
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા.
સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા,
દાતર હોય તેને દાન કરવું;
પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું.
આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંયા સ્વામીને, સ્નેહથી સમરતાં,
ફરી નવ અવતરે નર ને નારી.
(૬ ) ઊઠ ઉતાવળો
ઊઠ ઉતાવળો, ચાલ્યને વિઠ્ઠલા,
ગોવિંદ ગાયને વચ્છ ધાવે;
જાગને જાદવા,જનની જશોદા વદે,
કહાન કાં ઘણી તને નિદ્રા આવે ? ઊઠ ઉતાવળો.
દંતધાવત કરો,આળસ પરહરો,
રજની તિમિર ગયું પોહો ફાટ્યું;
કરમળો કૂરને શે ન શીરાવતો,
દહીં રે દામોદર થાય ખાટું. ઊઠ ઉતાવળો.
બારણું બહાર બળિભદ્ર ઊભા રહ્યા,
જો રે વહાલા તારી વાટ જોયે;
નરસૈંયા સ્વામીનું મુખડું દીઠડે,
માતાનું મનડું અતિ રે મોહે. ઊઠ ઉતાવળો.
(૭ ) હરિહરિ રટણ કર
હરિહરિ રટણ કર કઠણ કળિકાળમાં,
દામ બેસે નહિ કામ સારશે;
ભક્ત આધીન છે,શ્યામસુંદર સદા,
તે તારાં કારજ સિદ્ધ કરશે. હરિહરિ.
અલ્પ સુખ સારું શું,મૂઢ ફૂલ્યો,
શીશ પર કાળ રહ્યો દંત કરડે;
પામર પલકની ખબર તુજને નહીં,
મૂઢ શું જોઇને મૂછ મરડે? હરિહરિ.
પ્રૌઢ પાપે કરી,બુદ્ધિ પાછી ફરી,
પરહરી થડ શું ડાળે વળગ્યો;
ઈશને ઈર્ષા છે નહીં,જીવ પર,
આપણે અવગુણે રહ્યો રે અળગો. હરિહરિ.
પરપંચ પરહરો,સારા હૃદિયે ધરો,
ઊચરો હરિમુખે અચળ વાણી;
નરસૈંયા હરિતણી ભક્તિ મા,
ભક્તિ વિના બીજું ધૂળધાણી. હરિહરિ.
(૮) ભક્તિ પદારથ
ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહીં રે ;
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે ….. ભૂતળ
હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મોજનમ અવતાર રે;
નિત્ય સેવા, નિત્ય કીર્તન -ઓચ્છવ,નિરખવા નંદકુમાર રે. ..ભૂતળ
ભરતખંડ ભૂતળમાં જનમી જેને ગોવિંદ -ગુણ ગાયા રે;
ધન ધન રે એનાં માતપિતાને સફલ કરી એને કાયા રે. ….ભૂતળ
ધન વૃંદાવન, ધન એ લીલા,ધન એ વ્રજનાં વાસી રે ;
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી,મુક્તિ છે એમની દાસી રે….ભૂતળ
એ રસનો સ્વાદ શંકર જાણે,કે જાણે શુક જોગી રે;
કાંઈ એક જાણે વ્રજની રે ગોપી,ભણે નરસૈંયો ભોગી રે . ..ભૂતળ