ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ વખતે પહેલીવાર ભાદરવી પૂનમનો મેળો ભરાશે નહીં. આ પૂનમ નિમિત્તે દરવર્ષે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણનો સમય હોવાથી યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટે મેળો નહીં ભરવાનું નક્કી કર્યું છે. મંદિરની 300 વર્ષ જૂની પરંપરા તૂટી છે.
જો કે દેવસ્થાન ટ્રસ્ટે કહ્યું છે કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 1400થી વધુ સંઘો ધજા લઇને અંબાજી આવતા હોય છે પરંતુ આ વખતે સંઘના સભ્યો નહીં આવી શકે પરંતુ મંદિરમાં ધજા ચઢાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સંઘના આગેવાનો પાસેથી ધજા મંગાવી લેવામાં આવશે. ભાદરવી પૂનમનો મેળો 27મી ઓગષ્ટે યોજાવાનો હતો જેના માટે અત્યારે તો લાખો પદયાત્રીઓ ચાલીને અંબાજીના માર્ગે જતા હોય છે પરંતુ આ વખતે આયોજન નહીં હોવાથી શ્રદ્ધાળુઓ અંબાજીમાં આવશે નહીં.
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે 24મી ઓગષ્ટ થી 4થી સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ કરી દેવામાં આવનાર છે તેથી કોઇપણ શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળી શકશે નહીં. માત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા ઓછા લોકોથી પ્રતિદિન આરતી અને થાળ જેવી વિધિ કરવામાં આવશે.
ટ્રસ્ટે એવું પણ નક્કી કર્યું છે કે જે જગ્યાએથી રજીસ્ટર્ડ થયેલા સંઘ અંબાજી આવતા હોય છે તેમનો સંપર્ક કરીને ઘજા મંગાવી લેવામાં આવશે અને મંદિર ઉપર ચઢાવવામાં આવશે. અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ધજાઓને મંદિરના સભામંડપમાં રાખીને શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણો દ્વારા પૂજાવિધિ કરવામાં આવી હતી. દર વર્ષે તમામ સંઘનું સંચાલન કરતા ભાદરવી પૂનમિયા સેવા સંઘના આગેવાનો આ વિધિ સમયે ઉપસ્થિત રહ્યાં હતા.
દેવસ્થાન ટ્રસ્ટના નિર્ણયના પગલે ભાદરવી પૂનમ સમયે મંદિર બંધ હોવાથી રાજ્ય અને ભારતભરના શ્રદ્ધાળુઓ ઘેરબેઠાં માતાજીના દર્શન કરી શકે તે માટે આરતી અને વિધિનું જીવંત પ્રસારણ સોશ્યલ મિડીયાના માધ્યમથી કરવામાં આવશે. અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમનો મેળો કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે પહેલીવાર બંધ રાખવામાં આવ્યો છે અને તેમાં સરકારની સંમતિ મેળવવામાં આવી છે.