આવકવેરા વિભાગ દ્વારા નવુ પોર્ટલ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યુ છે. જો કે પોર્ટલ લોન્ચ થવાની સાથે જ ઠપ્પ થઇ ગયુ છે. આથી નાણાંપ્રધાન નિર્મલા સિતારમને અકળાયા હતા અને પોર્ટલ બનાવનાર ઇન્ફોસિસ કંપનીને ખામીઓ સુધારવા માટે નિર્દેશ આપ્યો છે.
નવી વેબસાઇટ લોન્ચ થયા પછી વપરાશકારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતા તેમણે આ સંદર્ભમાં નાણા પ્રધાનને અનેક ફરિયાદો કરી હતી. નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે ઇન્ફોસિસ અને તેના ચેરમેન નંદન નિલેકણીને ઇન્કમટેક્સ વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટના વપરાશમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસને ૨૦૧૯માં ઇન્કમ ટેક્સ ફાઇલ કરવા માટેની નવી વેબસાઇટની રચના કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ઇન્કમ ટેક્સ ફાઇલિંગની પ્રક્રિયાનો સમય ૬૩ દિવસથી ઘટાડી એક દિવસ કરવા તથા કરદાતાઓને ઝડપથી રિફંડ મળી રહે તે હેતુથી આ નવી વેબસાઇટ શરૃ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજે આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અંગેની જાહેરાત કરતા નિર્મલા સિતારમને આજે સવારે જણાવ્યું હતું કે નવી વેબસાઇટથી કરદાતાઓને ટેક્સ સંબધી કાર્યો ઝડપથી અને સરળતાથી કરી શકશે. ઉલ્લેખનીય છે કે ઇન્ફોસિસે આ અગાઉ જીએસટી નેટવર્ક(જીએસટીએન) પોર્ટલની રચના પણ કરી હતી. જીએસટી પેમેન્ટ માટે આ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. શરૃઆતમાં આ પોર્ટલ પણ ધીમુ ચાલતુ હોવાની ફરિયાદ મળી હતી.