ગાંધીનગર: ગુજરાતમાં ચાર વોટર એરોડ્રામ ઉભા કરી હવાઇ સેવા શરૂ કરાશે. આ સુવિધા માટે રિજીયનલ કનેક્ટિવિટી સ્કીમ આરસીએસ ઉડાન-3 અને ઉડાન-4 અન્વયે ગુજરાત સરકાર અને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ત્રિપક્ષીય કરાક કરવામાં આવશે.
વોટર એરોડ્રામ માટે બુધવારે મળનારી મંત્રીમંડળની બેઠકમાં આ એમઓયુ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. જે ચાર સ્થળોએ વોટર એરોડ્રામ બનવાના છે તેમાં સાબરમતી રિવર ફ્રન્ટ અમદાવાદ, કેવડીયા સરદાર સરોવર નર્મદા ડેમ, શેત્રુંજ્ય ડેમ પાલિતાણા અને ધરોઇ ડેમ મહેસાણાનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકાર વોટર એરોડ્રોમનું ઓપરેશન-મેઇન્ટેનન્સ-પાણી-વીજળી અને અન્ય સેવાઓ પૂરી પાડશે એટલું જ નહીં 1 થી 2.5 એકર જમીન જરૂરિયાતને આધારે સરકાર ઉપલબ્ધ કરાવશે. આ એરોડ્રામ માટે સાઇટ કલીયરન્સ કેન્દ્ર સરકારની વોટર એરોડ્રોમ સંબંધિત સ્ટિયરીંગ કમિટિ પાસેથી રાજ્ય સરકાર મેળવશે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ઇમ્પ્લીમેન્ટીંગ ઓથોરિટી તરીકે કાર્ય કરશે. વોટર એરોડ્રોમના માસ્ટર પ્લાનીંગ માટે એરપોર્ટ ઓથોરિટી રાજ્ય સરકારને મદદ કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાર વોટર એરોડ્રોમના વિકાસ માટેની દરખાસ્ત મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. વોટર એરોડ્રોમ એ ખુલ્લા પાણીનો એક વિસ્તાર છે તેનો ઉપયોગ એમ્ફીબિયસ વિમાન દ્વારા ઉતરાણ અને ઉડાણ માટે થઇ શકે છે. તદુપરાંત, ટ્રાફિકના જથ્થાને આધારે, વોટર એરોડ્રોમમાં કિનારે વિમાનો પાર્ક કરી શકાય છે અને જમીનની બાજુએ ટર્મિનલ બિલ્ડિંગ હોઇ શકે છે.
કેટલાંક ટાપુના દેશોમાં, ખાસ કરીને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ જેવા સમૃદ્ધ દેશોમાં વોટરડ્રોમ્સ છે. ઉપરાંત કેનેડામાં ગ્રેટ સ્લેવ તળાવ પર યલોનાઇફ, વેનકુવર આઇલેન્ડ પર ટોફિનો અને શ્વાટકા તળાવ પર વ્હાઇટહોર્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ આ વોટર એરોડ્રોમ સેવા શરૂ થવાથી લોકોને હવાઇ સેવા ઉપલબ્ધ થશે અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે. સાથોસાથ રાજ્યમાં રોજગારીની વધુ તકો ઊભી થશે અને કુદરતી આપદા દરમ્યાન આવા વોટરડ્રોમ ઉપયોગી બની રહેશે.
ગુજરાત સરકારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ પોલિસી અંતર્ગત વોટર એરોડ્રોમ સાઇટ કલીયરન્સ કેન્દ્ર સરકારની વોટર એરોડ્રોમ સંબંધિત સ્ટિયરીંગ સમિતી પાસેથી મેળવવાનું રહેશે. રાજ્ય સરકાર વોટર એરોડ્રોમનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ કરશે સાથે જ વીજળી, પાણી અને અન્ય સેવાઓ પૂરી પાડશે. વોટર એરોડ્રોમના વિકાસ માટેની જરૂરી મંજૂરીઓ પણ રાજ્ય સરકારે મેળવવાની રહેશે તેમજ જરૂરિયાત મુજબની જમીન ઉપલબ્ધ કરાવવાની રહેશે. આ જમીનની માલિકી રાજ્ય સરકાર વતી ડાયરેકટર સિવીલ એવિએશનની રહેશે.