માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) સેક્ટરમાં નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ)માં આગળ જતાં વધારો થવાની શક્યતા છે કારણ કે ઓગસ્ટમાં ટર્મ લોન પર મોરેટોરિયમ પૂર્ણ થાય છે અને આ સેક્ટરમાં સમગ્ર દેશમાં 4.5 કરોડ લોકો જોબ ગુમાવે તેવી શક્યતા છે જે પૈકી ગુજરાતમાં 15 લાખથી વધુ કર્મચારીઓ તેમની જોબ ગુમાવે તેવી દહેશત છે.
રિઝર્વ બેન્ક દ્વારા માર્ચમાં નાના બિઝનેસ માટે લોન મોરેટોરિયમની જાહેરાત કરવામાં આવી હતી. તેની મુદ્દત 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી અને નાના બિઝનેસ માને છે કે મોરેટોરિયમની સમયમર્યાદામાં હજુ પણ વધારો કરવો જોઈએ. ફેડરેશન ઓફ ઇન્ડિયન એમએસએમઇ જણાવે છે કે સરકારે જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજથી હકીકતમાં કોઈ હકારાત્મક અસર જોવા મળી નથી.
દેશના લગભગ 61 ટકા એમએસએમઇએ જણાવ્યું કે તેઓ સપ્ટેમ્બર પછી લોનની ભરપાઈ કરવા માટે સક્ષમ નથી જે પૈકી ગુજરાતમાં 45 ટકા ઉદ્યોગો લોન ભરી શકે તેવી હાલતમાં નથી. સમગ્ર દેશમાં 400 અને ગુજરાતમાં 75 જેટલા નાના બિઝનેસ પર થયેલા સરવેમાં જણાવાયું હતું કે એનપીએમાં ભારે વધારો શક્ય છે અને મોરેટોરિયમ હેઠળ તમામ ટર્મ લોનને રિસ્ટ્રક્ચર કરવાની જરૂર છે.
લગભગ 32 ટકા જેટલા એમએસએમઇએ જણાવ્યું કે તેઓ મોરેટોરિયમ એક વર્ષ સુધી લંબાવવામાં આવે તેમ ઇચ્છે છે. જ્યારે 37 ટકાએ કહ્યું કે તેઓ વધુ છ મહિના માટે મોરેટોરિયમ લંબાવવા માંગે છે. ગુજરાતની ઉદ્યોગ સંસ્થાએ જણાવ્યા પ્રમાણે જુલાઇના 2020ના અંત સુધીમાં લગભગ 10 લાખ લોકો જોબ ગુમાવશે.
>ચાલુ વર્ષના ઓગસ્ટના અંત સુધીમાં વધુ 5 લાખ લોકો જોબ ગુમાવે તેવી શક્યતા છે. સરવેમાં ભાગ લેનારા લગભગ 56 ટકા લોકોએ જૂનમાં જણાવ્યું કે તેમની પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે નાણાં નથી. ચાલુ વર્ષમાં 64 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ સ્ટાફને પગાર ચૂકવી શકે તેમ નથી.
સરવેમાં જણાવાયું હતું કે મોટી સંખ્યામાં એમએસએમઇને ક્રેડિટની જરૂર છે અને ત્રણ લાખ કરોડના પેકેજથી માત્ર 19 ટકા જેટલી માંગ સંતોષાશે. લોન મોટા ભાગે એવા ગ્રાહકોને આપવામાં આવે છે જેઓ પૂરતા પ્રમાણમાં જામીન આપી શકે. કોવિડ મહામારીના કારણે એમએસએમઇ સેક્ટરને સૌથી વધારે ફટકો પડ્યો છે. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટમાં જે નાના ઉદ્યોગોએ મૂડીરોકાણ કર્યાં છે તેઓ તેમનો પ્રોજેક્ટ શરૂ કરી શકે તેવી હાલતમાં નથી, જેથી નવી રોજગારી ઉભી થાય તેમ નથી.