ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17 થી 23 જુલાઇ દમ્યાન રાજ્યમાં ભારે થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે માછીમારોને દરિયા નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે તમામ તાલુકામાં 1 મીમી થી 1337 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટીજે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં 14મી જુલાઇ સુધીમાં 269.87 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 32.48% છે.
હવામાન વિભાગ દ્વારા 17 થી 23 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્યતઃ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત 57.37 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 48.79 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 67.58% વાવેતર થયુ છે.