કુદરત આપણને પાણી આપે છે પરંતુ આપણે તેનો સંગ્રહ કરી શકતા નથી. વૈજ્ઞાનિકોનો અભ્યાસ છે કે ગુજરાતમાં પાણીની મહત્તમ જરૂરિયાત 35000 મિલિયન ઘનમીટરની છે પરંતુ કુદરત ચોમાસા દરમ્યાન વર્ષે સરેરાશ 1,30,000 મિલિયન ઘનમીટર પાણી આપે છે.
રાજ્યમાં જળસંચયની સ્થિતિ કમજોર હોવાથી વરસાદી ચોખ્ખું પાણી દરિયામાં વહી જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વરસાદનું 31 પાણી જમીનમાં ઉતારવું જોઇએ પરંતુ કુદરતી રીતે માત્ર 13 ટકા પાણી જમીનમાં ઉતરી રહ્યું છે. કુદરત આપણને દર વર્ષે વરસાદના રૂપમાં પાણીનો ખજાનો આપે છે પણ આપણે સંગ્રહ કરી શકતા નથી.
ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલું પાટણ જિલ્લાનું એવાલ ગામ પાણીની અછત અનુભવતા ગામડાઓને પ્રેરણા પુરી પાડે છે. 700ની જનસંખ્યા ધરાવતા આ ગામમાં માત્ર 150 મકાનો છે. ગામડાના પ્રત્યેક ઘરની બાજુમાં પાણીના મોટા ટાંકા બનાવવામાં આવ્યા છે જેમાં પાઇપલાઇન મારફતે વરસાદનું પાણી ભરવામાં આવે છે જે આખું વર્ષ ચાલે છે. એટલું જ નહીં નાનકડા ગામમાં 80 જેટલી હવાચુસ્ત ટાંકીઓ છે. એવી જ રીતે અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામની સ્થિતિ અલગ જ છે.
આ ગામની વસતી 2000 લોકોની છે અને પ્રત્યેક ઘરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ફરજીયાત બનાવવામાં આવી છે. ગુજરાતમાં વનસંપત્તિ ધરાવતા ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ છતાં ભૌગોલિક સ્થિતિના કારણે પાણી ટકતું નથી તેથી રાજ્યના પાણી પુરવઠા વિભાગે આદિવાસીઓના ઘરની છત પર જે વરસાદી પાણી પડતું હતું તેનો સંગ્રહ કરવા ઘરઆંગણે જ 10 હજાર થી 20 હજાર લીટરના ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે.
કમનસીબી એવી છે કે ગ્રામ્ય વિસ્તારમાં જળસંચયના કામો ચાલે છે પરંતુ શહેરો આ કામગીરીથી બાકાત છે. સરકારનો નિયમ હોવા છતાં બિલ્ડરો બોરવેલની સાથે રીચાર્જ વેલ બનાવતા નથી. સરકારનો કાયદો છતાં આ નિયમને ઘોળીને પી જતાં બિલ્ડરો સામે સરકારના અધિકારીઓ પગલાં લેતાં નથી.