દૂધથી નહાવાથી ચામડી સુંદર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે તેવું ક્લીઓપેટ્રા માને છે પરંતુ દૂધની મદદથી ટીબી અને ડાયાબિટીસ જેવા રોગ કન્ટ્રોલમાં આવે છે તેવું સંશોધન રાજસ્થાનના બિકાનેરમાં કેમલ મિલ્કની એક સંશોધન શાળા નેશનલ કેમલ રીસર્ચ સેન્ટરનું છે.
આ સેન્ટરની મુલાકાતે ગયેલા વિદેશી પર્યટકોએ કેમલ મિલ્કનો ઉપયોગ કરીને ઇન્સ્યુલીનના ઇન્જેક્શન બંધ કર્યા હોવાના દાખલા નોંધાયા છે. કેમલ રીસર્ચ સંસ્થાના ડાયરેક્ટર કહે છે કે અમે આ સેન્ટરમાં બિકાનેરી, જેસલમેરી અને કચ્છી ઊંટની નસલને સુધારવાનું કામ કરીએ છીએ.
આ સંસ્થાના ચાર સંશોધકોએ ડાયાબિટીક વિદેશી પેશન્ટોને ઊંટડીનું દૂધ પિવડાવીને ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં સફળતા મેળવી છે. આ સંશોધનમાં 92 ટકા પેશન્ટો કે જેઓ ઇન્સ્યુલીનના ઇન્જેક્શન લેતાં હતા તે બંધ કર્યા છે. તેમનો ડાયાબિટીસ કાબૂમાં આવ્યો છે. જ્યારે ટીબીના દર્દીઓમાં પણ ચમત્કારીક પરિણામ મળ્યાં છે. ફાસ્ટીંગ બ્લડશ્યુગરમાં સુધારો થયો છે અને ટીબીના દર્દીઓના ફેફસા મજબૂત બન્યાં છે.
સંશોધકોના મતે કેમલ મિલ્કમાં 40 ટકા કોલેસ્ટ્રોલ ઓછું છે. તેમાં ખનીજ તત્વો જેવાં કે સોડીયમ, પોટેશ્યમ, મેગ્નેશ્યમ અને આયોડીનનું પ્રમાણ ઉંચું છે. વિટામીન-સી તેમજ પ્રોટીન ગાયના દૂધ કરતાં કેમલ મિલ્કમાં વધારે જોવા મળ્યું છે.
આ દૂધ પીવામાં ખારૂં લાગે છે. તે પાતળું અને સફેદ છે. આ દૂધને 10 દિવસ સુધી ઉકાળવામાં ના આવે તો પણ તે બગડતું નથી. એક ઊંટડી દિવસમાં 10 લીટર દૂધ આપતી હોય છે જેમાં 88 ટકા પાણીનો હિસ્સો છે.