સરકારે હવે પ્રોવિડન્ટ ફંડના ખાતામાં જમા વાર્ષિક પાંચ લાખ રૃપિયા સુધીની રકમને કરમુક્ત કરી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને ૧લી ફેબુ્રઆરીએ બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, પીએફ એકાઉન્ટમાં વાર્ષિક ૨.૫ લાખ રૃપિયા સુધીની રકમ જ કરમુક્ત રહેશે. તેનાથી વધુ જમા રકમ પરની વ્યાજની આવક કરપાત્ર હશે. હવે આ મર્યાદા સરકારે બમણી કરીને વાર્ષિક પાંચ લાખ કરી દીધી છે.
નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, જોકે કરમુક્તિની આ છૂટ માત્ર એવા પીએફધારકોને મળશે, જેમના પીએફ ખાતામાં કંપની દ્વારા કોઈ યોગદાન આપવામાં આવ્યું નહીં હોય. આ સાથે લોકસભામાં નાણાં બિલ ધ્વની મતથી પસાર થઈ ગયું હતું. આ બિલ પર ચર્ચા દરમિયાન નાણામંત્રી સીતારામને લોકસભામાં કરમુક્તિ મર્યાદા ૨.૫ લાખથી વધારીને પાંચ લાખ કરવાની જાહેરાત કરી હતી. આ બિલ મંજૂર થઈ જતાં ૧લી ફેબુ્રઆરીએ બજેટમાં કરાયેલી જાહેરાત પર મંજૂરીની મહોર લાગી ગઈ હતી. નાણામંત્રીએ ફરી એક વખત કહ્યું હતું કે પીએફની રકમ પર વ્યાજની આવકને કરપાત્ર બનાવવાની અસર માત્ર એક ટકા પીએફ ધારકોને થશે. બાકીના પીએફ ધારકો પર આ નિયમની અસર નહીં થાય, કારણ કે તેમનું વાર્ષિક યોગદાન રૃ. ૨.૫ લાખથી ઓછું હોય છે.
દરમિયાન રાજ્યકક્ષાના ગૃહમંત્રી જી. કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું હતું કે, દેશમાં વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ના બે વર્ષના સમયમાં સાઈબર હુમલાની ૧૫.૫ લાખ ઘટનાઓ બની છે, જેમાં ૧૧.૫૮ લાખ ઘટના એકલા વર્ષ ૨૦૨૦માં બની હતી. ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઈન)ને બધા જ સેક્ટર્સના નેટવર્ક્સમાં માલવેર ઈન્ફેક્શન્સ અંગે ઈન્ટેલિજન્સ સોર્સના જોખમની માહિતી મળે છે. સાઈબર હુમલાની કોઈપણ ઘટના ધ્યાનમાં આવતાં જ સીઈઆરટી-ઈન તે અંગે એલર્ટ્સ જાહેર કરે છે.
દરમિયાન સરકારે નાગરિક્તા કાયદા (સીએએ) હેઠળ નિયમો ઘડવા માટેની સમય મર્યાદા લોકસભા માટે ૯મી એપ્રિલ અને રાજ્યસભા માટે ૯મી જુલાઈ સુધી લંબાવી છે. ગૃહખાતાના રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે સીએએ કાયદો ૧૨મી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ નોટીફાઈ કરાયો હતો અને ૧૦મી જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં આવ્યો હતો. કમિટિ ઓન સબોર્ડિનેટ લેજિસ્લેશને આ કાયદાના નિયમો ઘડવા માટે લોકસભાને ૯મી એપ્રિલ અને રાજ્યસભાને ૯મી જુલાઈ સુધીનો સમય આપ્યો હતો.