ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં કોરોના સંક્રમણના કારણે ભાદરવી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો છે પરંતુ આ મેળાના સાત દિવસ દરમ્યાન મંદિરમાં જે પૂજા-અર્ચના થઇ રહી છે અને મહાયજ્ઞ શરૂ થયો છે તેનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. લોકલાગણીને માન આપીને અંબાજી મંદિર યાત્રાળુઓ માટે 3જી સપ્ટેમ્બરથી દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહોત્સવ પ્રસંગે કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાગલેના હસ્તે ચાચર ચોકમાં યોજાયેલા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. તેમણે યજ્ઞશાળામાં પૂજન વિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવી મંદિર ઉપર ધજા ચડાવી છે.
જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, વિશ્વ કલ્યાણ અર્થે માનવજાતના કલ્યાણ માટે તેમજ કોરોના સંકટ દુર થાય તે માટે આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યુ કે, પ્રતિવર્ષ ભાદરવી મહામેળા પ્રસંગે પદયાત્રા દ્વારા અંબાજી આવતા 1400 જેટલા રજીસ્ટર્ડ થયેલા સંઘોને તેમની લાગણી અનુસાર પૂજા કરેલ માતાજીની ધજાઓ પહોંચાડવામાં આવી છે. આ મેળામાં દર વર્ષે 25 લાખથી વધુ યાત્રાળુઓ આવતા હોય છે.
સંદીપ સાગલેએ જણાવ્યું કે, આ વર્ષે માઇભક્તો ઘેરબેઠાં માતાજીના દર્શન કરી શકે તે માટે માતાજીની આરતી, દર્શન, ગબ્બર દર્શન વગેરેના લાઇવ- જીવંત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીના લોકો અને યાત્રિકોની સલામતિ માટે 24મી ઓગષ્ટ થી ચોથી સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતું ભક્તોની લાગણી ધ્યાને લઇ હવે મંદિર ત્રીજી સપ્ટેવમ્બરથી દર્શનાર્થી માટે ખુલ્લુ મુકાશે.
ઉલ્લેખનીય છે કે આ વરસે ભાદરવી પૂનમના મહામેળાનો સમયગાળો 27મી ઓગષ્ટ થી બીજી સપ્ટેમ્બર સુધીનો છે પરંતું કોરોનાની વૈશ્વિક મહામારીના લીધે મેળો બંધ હોવાથી આ સમયગાળા દરમ્યાન માઇભક્તો ઘેરબેઠાં જ માતાજીનાં દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાઇવ વેબકાસ્ટીંગની સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુ-ટ્યુબ વગેરે પર સવારે 7.30 વાગ્યાથી દર્શન કરી શકાશે. બીજી સપ્ટેમ્બરના રોજ સાંજે 4.30 વાગે મહાયજ્ઞનની પૂર્ણાહુતિ અને મહાઆરતી કરાશે.
સંદીપ સાગલેએ જણાવ્યું કે પ્રતિવર્ષ ભાદરવી મહામેળા પ્રસંગે અંબાજી ખાતે 25 લાખથી વધુ યાત્રિકો આવતા હોય છે. ઘણા માઇભક્તો મંદિર પર ધજાઓ પણ ચડાવતા હોય છે ત્યારે આ વરસે સૌ માઇભક્તો વતી મંદિર પર ધજા ચડાવી છે. અમે સૌની સુખાકારી અને કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરી છે.