ગાંધીનગર
હજુ ત્રણ મહિના પહેલા રૂપાણી સરકારના 5 વર્ષ પુરા થયા હોવાની ઉજવણી રાજ્યભરમાં ધૂમધામપૂર્વક કરવામાં આવી હતી. એક તરફ નરેન્દ્રભાઈ ના સત્ત્તાકાળ ના 20 વર્ષ અને બીજી તરફ રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી. ભાજપનું સંગઠન જાણે હર્ષના હિલ્લોળે ચડ્યું હતું. અચાનક એકતા કપૂરની સિરિયલોની જેમ એક ટ્વિસ્ટ આવ્યો, એક અણધાર્યો ટર્ન આવ્યો અને તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાંથી પરત આવીને રાજ્યપાલને રાજીનામુ સોંપી દીધું. એક સાથે આખા મંત્રીમંડળે રાજીનામુ સોંપી દીધું. મોદી-શાહ અને આનંદીબેને પોતાના 112 પતા માં થી હુકમના એક્કા તરીકે ભુપેન્દ્ર પટેલને આગળ કર્યા. નવું નક્કોર મંત્રી મંડળ બન્યું. ત્યાં સુધી લોકો એ સમજવાની મહેનત કરતા હતા કે ભાઈ રૂપાણી સરકાર ખરેખર ક્યા કારણસર ઉડી ગઈ? કોરોનની બીજી લહેરમાં મચેલા હાહાકારને કારણે કે પછી કોઈ બીજા કારણે? સ્પષ્ટ ખુલાસો ક્યારે પણ સામે આવ્યો નહિ. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી જે રીતે ભુપેન્દ્ર પટેલની સરકારની સારપની પબ્લિસિટી, પ્રચાર ખુબજ સિફતપૂર્વક શરુ કરાયો છે તે સ્પષ્ટ કરે છે કે આગામી ખેલ રૂપાણી સરકારને વગોવીને ભુપેન્દ્ર પટેલની સરકારને અત્યારથી જ ઉજળી ચીતરવાનો છે.
રૂપાણી સરકાર 5 વર્ષ સંવેદનશીલ રહી હવે અચાનક નિષ્ઠુર?
આ ફક્ત ભાજપ જ કરી શકે કે જે રૂપાણી સરકારનું સમગ્ર બ્રાન્ડિંગ એક સંવેદનશીલ સરકાર અને રૂપાણીની છબી એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઉભી કરવામાં 5 વર્ષ ભાજપે લગાવી દીધા એજ રૂપાણી સરકારને હવે પોતાનાજ ધારાસભ્યોની અવગણના કરનારી, કાર્યકરો પ્રત્યે નિષ્ઠુર વર્તન કરનારી સરકાર તરીકે વગોવવામાં આવી રહી છે. મીડિયા સમક્ષ એક એવી છબી ઉભી કરવાનો યોજનાબદ્ધ પ્રયાસ કરાઈ રહ્યો છે કે રૂપાણી સરકાર વખતે ધારાસભ્યો પ્રત્યે ઉપેક્ષિત વર્તન કરાતું હતું, બેસાડી રાખીને રાહ જોવા માટે મજબુર કરતા હતા. અધિકારીઓ ધારાસભ્યોને ગાંઠતા નહોતા. ધારાસભ્ય હોય કે આગેવાન સચિવાલયથી પરત થતી વેળાએ કડવા અનુભવ સાથે નિરાશા લઈને જતા હતા. થૂંકેલું ચાટીને એજ થૂંકને બાસુંદી ગણાવવી એ આનું નામ કહેવાય.
ભુપેન્દ્ર પટેલ સરકારને ત્રણ મહિના માં જ પ્રો-વર્કર, પ્રો-એમએલએ નું પ્રમાણપત્ર?
જે સરકારના તમામ મંત્રીઓ નવા છે. ઘણા બધા તો એવા છે કે જેને સરકાર ચલાવવાનો કોઈ અનુભવ જ નથી. મુખ્યમંત્રી પોતે એ કેટેગરીમાં આવે છે. એ સ્થિતિમાં આધારભૂત સૂત્રોનું માનીયે તો આ સરકાર ખરેખર એવી છે જે દિલ્હીના સીધા સૂચનો અને દોરવણી હેઠળ ચોક્કસ આઈએએસ અધિકારીઓને આપતા માર્ગદર્શનનું ફક્ત પાલન કરે છે. પણ બ્રાન્ડિંગ થઇ રહ્યું છે કે આ સરકાર જો પહેલા બની હોત તો 2022ની સાલમાં ભાજપને ચૂંટણી જીતવા કોઈ મહેનત જ ન કરવી પડે.
એક કહેવત છે કે ”બુંદ સે ગઈ વો હોજ સે નહિ આતી.” હકીકત તો એ છે કે રૂપાણી સરકાર જે રીતે અને જે કારણોસર હટાવવી પડી છે એને લઈને ગુજરાતની પ્રજામાં એક સમજ કેળવવાનું શરુ થયું છે. સત્તત 22થી વધુ વર્ષો સુધી ગુજરાતની ગાદી ઉપર બેસીને શાશન કર્યા પછી ભાજપની મોદી બ્રાન્ડ સરકારને તમામ મોરચે અને ખાસ કરી સ્વાસ્થ્ય સુવિધાના મુદ્દે મળીને નિષ્ફળતા છાપરે ચડીને પોકારે છે. એ છુપાવવા માટે રૂપાણીને કાઢીને ભુપેન્દ્ર પટેલને લાવવાથી રાતો રાત કઈ પણ બદલી જાય એમ નથી. પ્રજા સમજતી થઇ રહી હોય એમ લાગે છે. ભાજપ સમજે તો સારું.