કોરોના સંક્રમણના સમયમાં નબળી માંગના પગલે રાજ્યની સ્પિનિંગ મિલો મુશ્કેલીનો સામનો કરી રહી છે. લગભગ 20 ટકા સ્પિનિંગ મિલો બંધ થવાની અથવા તો તેના મોટા હિસ્સાનું વેચાણ થવાની આશંકા સર્જાઇ છે. સ્થાનિક બજારમાં છેલ્લા થોડા દિવસથી યાર્નની માંગમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ કેટલીક મિલો માટે લોકડાઉનના સમયથી મુશ્કેલી છે અને તેમના માટે કપરો સમય ચાલી રહ્યો છે.
સ્પિનર્સ એસોસિયેશન, ગુજરાત (એસએજી)ના પ્રમુખ સૌરિન પરીખે જણાવ્યું હતું કે, રાજ્યની 110 જેટલી સ્પિનિંગ મિલો લોકડાઉનના સમયથી ઓછી માંગનો સામનો કરે છે અને હાલમાં લગભગ 80 ટકા ક્ષમતા પર કાર્યરત છે પરંતુ મોટા ભાગની મિલોની ઇન્વેન્ટરી વધી રહી છે.લોકડાઉન દરમિયાન ઉત્પાદન બંધ થયું હતું અને લાંબા સમય સુધી મિલો 50 ટકાથી પણ ઓછી ક્ષમતા પર ચાલી હતી અને ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ નહીં થવાથી ઘણું મોટું નુકસાન થયું છે. ઉપરાંત ઓર્ડર્સનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો અને લોકડાઉન દરમિયાન યાર્ન અને કોટનના ભાવમાં 20 ટકા જેટલો ઘટાડો થયો હતો. જો કે રાજ્યના ઉદ્યોગ વિભાગે કહ્યું હતું કે સ્પિનીંગ મિલોની કેવી હાલત છે તેની અમને ખબર નથી. સર્વે કરાવીશું તો ખબર પડશે.
ગુજરાત સરકારની પ્રોત્સાહક ટેક્સટાઇલ પોલિસીના પગલે રાજ્યમાં છેલ્લા એક દાયકામાં અત્યાધુનિક સ્પિનિંગ મિલો સ્થપાઈ છે અને પ્રત્યેક મિલમાં અંદાજે 100 કરોડ જેવું મોટું રોકાણ થયું છે. આટલા જંગી રોકાણ સાથે સ્થપાયેલી મિલોમાં ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ જ ના થાય તે સ્થિતિમાં વ્યાજખાધનું જ મોટું નુકસાન થાય એ સ્વાભાવિક છે. આગામી સમયમાં રાજ્યમાં આવી 20 ટકા જેટલી સ્પિનિંગ મિલો બંધ થવાની અથવા તો તેના માલિકો પોતાનો હિસ્સો બીજાને વેચે તેવી આશંકા છે.
ગુજરાતમાં 40 લાખ સ્પિન્ડલની સ્થાપિત ક્ષમતા છે અને સ્પિનિંગ મિલો લોકાઉન અગાઉ દર મહિને લગભગ 5,000 કરોડનું ટર્નઓવર કરતી હતી. એસોસિયેશનના મતે, 25,000થી 35,000 સ્પિન્ડલની ક્ષમતા ધરાવતી મિલો હાલમાં મુશ્કેલીમાં છે.જોકે, છેલ્લા થોડા દિવસોમાં સ્થાનિક બજારમાં વિવિંગ સેગમેન્ટ અને હોઝિયરીમાં યાર્નની માંગમાં સામાન્ય સુધારો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને તેના પગલે યાર્નના ભાવમાં પણ સાધારણ વધારો થયો છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી નવા ઓર્ડર્સ જોવા મળી રહ્યા છે પરંતુ વિદેશી માંગ હજુ પણ તળિયે છે.