એક સમય હતો કે જ્યારે સચિવાલયમાં હજારો સાયકલને પાર્ક કરવા માટે સાયકલ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા પરંતુ ધીમે ધીમે કર્મચારીઓના પગાર-ભથ્થાંમાં વધારો થતાં સાયકલનું સ્થાન બાઇક, સ્કૂટર અને મોટરકારે લેતાં સરકારે સાયકલ સ્ટેન્ડ કઢાવી નાંખ્યા હતા પરંતુ હવે ફરીથી સાયકલ સ્ટેન્ડ શરૂ કરવા પડે તેમ છે, કારણ કે સચિવાલયમાં સાયકલોની સંખ્યા વધતી જાય છે.
સચિવાલયના વિભાગોમાં કામ કરતાં વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ આજેપણ સાયકલ પર સફર કરે છે. હવે તો વર્ગ-2 અને વર્ગ-1ના અધિકારીઓ સાયકલ લઇને ઓફિસે આવી રહ્યાં છે. આ બદલાવ કોરોના સંક્રમણના કારણે આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાથી બચવા તેમજ આરોગ્યની જાળવણી કરવા કર્મચારીઓ સાયકલ તરફ વળ્યાં છે.
સાયકલ ફેરવવામાં હેલ્મેટ કે સિટબેલ્ટ પહેરવાની કોઇ માથાકુટ હોતી નથી અને આરોગ્ય પણ સારૂં રહે છે. હવે તો ડોક્ટરો ડાયાબિટીસ કે હ્રદયરોગના દર્દીઓને સાયકલ ચલાવવાની ભલામણ કરી રહ્યાં છે. જો કે સચિવાલયમાં સાયકલો દેખાવાનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો છે. આ બન્ને ઇંધણ કર્મચારીઓને મોંઘા પડી રહ્યાં છે તેથી જૂની સાઇકલો બહાર કાઢી છે અથવા તો નવી સાયકલો વસાવી છે.
ટૂંકાઅંતરની સફરમાં હવે તો મધ્યમવર્ગના પરિવારો સાયકલ ચલાવતા થયાં છે. ઘર થી સચિવાલય જતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ હવે સાયકલ પર જાય છે. સાયકલનો બીજો મહત્વનો ફાયદો એ છે કે તે ગમે ત્યાં પાર્ક થઇ શકે છે. ઝાડની ઓથમાં પણ પાર્ક કરી શકાય છે. બીજું કે તેનાથી વાતાવરણમાં પોલ્યુશન થતું નથી. 25 વર્ષ પહેલાં જે સાયકલ 600 રૂપિયામાં મળતી હતી તે સાયકલનો ભાવ અત્યારે 8000 થી 12000 રૂપિયા થયો છે. સાયકલનો આરોગ્ય અને તંદુરસ્તી માટે ઉપયોગ કરવામાં આવતાં ઉત્પાદકોએ તેની કિંમતો વધારી દીધી છે. હવે તો ટ્યુબલેસ સાયકલોએ બજાર સર કર્યું છે.
આંકડાશાત્ર બ્યુરોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સાયકલની સંખ્યા 60 લાખ જેટલી થઇ છે જે પાંચ વર્ષ પહેલાં 45 લાખ હતી. સાયકલ પર ઓફિસ જવાનો ક્રેઝ વધતો જાય છે. હવે તો ગામડામાં દેખાતી સાયકલ શહેરોમાં જોવા મળી રહી છે. એકલા અમદાવાદમાં 8 લાખથી વધુ સાયકલો જોવા મળે છે. ગાંધીનગરમાં સાયકલોની સંખ્યા વધીને 1.50 લાખ થઇ છે તે પૈકી મોટાભાગની સાયકલો સચિવાલયમાં જતા કર્મચારીઓની છે.