ગાંધીનગર- ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિમાં લોકોને કડકાઇથી પાલન કરવાની વિનંતી કરી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે ફરજીયાત મેડીકલ ચેકઅપ કરવું પડે તેવું પગલું કોઇએ ભરવું જોઇએ નહીં. લોકડાઉનના નિયમોનું પાલન કરીને પ્રત્યેક વ્યક્તિએ તેમના ઘરમાં સુરક્ષિત રહેવું જોઇએ, કે જેથી રાજ્યમાં ઝડપથી કોરોનાના વધતા કેસોમાં નિયંત્રણ આવી શકે.
તેમણે રાજ્યના નાગરિકોને ફરીથી અપીલ કરી છે કે ઘરમાં રહીને બે ટાઇમ ગરમ પાણી પીવો. ગરમ દૂધમાં હળદર મેળવીને બે વખત ગોલ્ડન મિલ્ક પીવું જોઇએ. એ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઘરગથ્થું પ્રયોગો કરવા જોઇએ, કે જેથી કોરોનાના સંક્રમણથી બચી શકાશે.
અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા વધતી જાય છે તેથી શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોના પોઝિટીવના કેસો વધી જતાં તમામ પ્રવેશદ્વાર પર સ્ક્રીનિંગ મશીન મૂકવામાં આવશે. આ દ્વાર પરથી બહાર નિકળતી કે અંદર પ્રવેશ કરતી પ્રત્યેક વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. શહેરના રાયપુર, કાલપુર, સારંગપુર, દિલ્હી દરવાજા, શાહપુર, જમાલપુર જેવા કોટ વિસ્તારના દરવાજા પરથી પસાર થતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.
કોરોનાના વધતા જતાં કેસોથી અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાના મધ્ય ઝોનમાં આવતા 6 વોર્ડને કોરોનાના બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં આવતા 13 દરવાજાની હદમાં ખાસ મેડીકલ અને પોલીસની ટીમ મુકવામાં આવશે. કોટ વિસ્તારની હદમાં પ્રવેશતા તમામની તબીબી તપાસ કરવામાં આવશે. આ કામગીરી માટે મ્યુનિસિપલ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.
અમદાવાદના દાણીલીમડા, રખિયાલ, આંબાવાડી, જમાલપુર, દરિયાપુર સહિત જમાલપુરને કલસ્ટર કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં દવાનો છંટકાવ અતિ જરૂરી છે, પરંતુ અહીં દવાનો છંટકાવ કરવામાં પણ જોખમ હોવાથી મહાનગરપાલિકાના કર્મચારીઓએ આ વિસ્તારમાં દવાના છંટકાવ માટે ડ્રોનની મદદ લેવાનું નક્કી કર્યુ છે. કોટ વિસ્તારની પોળમાં વાહનો જઇ શકતા નથી તેથી આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના સૂત્રોએ કહ્યું હતું કે કોટ વિસ્તાર ઉપરાંત અમદાવાદ શહેરના જે વિસ્તારમાં કેસોની સંખ્યા વધશે ત્યાં બફરઝોન જાહેર કરવાની તૈયારી પણ કરવામાં આવી છે. જો તેમ થશે તો અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ સર્જાશે. શંકાસ્પદ લોકોનું સ્કીનિંગ કરીને મેડીકલ ટેસ્ટ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ માટે મોબાઇલ હોસ્પિટલની પણ મદદ લીધી છે. અમદાવાદના કાલુપુર શાકમાર્કેટમાં લૂંટફાટ થયા પછી તેને બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે ટ્રાફિકથી ધમધમતા શહેરના હાર્દરૂપ નહેરૂબ્રીજને પણ કોર્પોરેશનના અધિકારીઓએ બંધ કરી દીધો છે.