ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના વધતા જતાં કેસો વચ્ચે અમદાવાદને કેન્દ્ર સરકારે હોટસ્પોટ તરીકે જાહેર કર્યું છે, એટલે કે અમદાવાદમાં તકેદારીના વધુ પગલાં લેવામાં આવી રહ્યાં છે. એ સાથે રાજ્યમાં જ્યાં પોઝિટીવ કેસ થયાં છે તેવા વિસ્તારોમાં કલસ્ટર કન્ટેન્ટ પ્રોટોકોલ પ્રમાણે સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે.
આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે રાજ્યના નાગરિકો લોક ડાઉનનો ચુસ્તપણે અમલ કરે અને સૌ સંયમ રાખીને ઘરમાં જ રહે તે અત્યંત અનિવાર્ય છે. રાજ્ય સરકારે પ્રો-એક્ટિવ થઈને ભાવનગર, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરના ક્લસ્ટરમાં જે કેસો નોંધાયા છે ત્યાં ક્લસ્ટર કન્ટેન્ટ પ્રોટોકોલ મુજબ સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવી દીધી છે. આ વિસ્તારોમાં વસતા વૃદ્ધો-વયસ્કોનું પણ પરીક્ષણ કરી ખાસ કાળજી લેવાશે ઉપરાંત આ વયસ્કોને જે સામાન્ય રોગ છે તેની દવાઓ-સારવાર સમયસર લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
આજે ત્રણ નવા પોઝિટિવ કેસ ઉમેરાયા છે એમાં એક અમદાવાદના 55 વર્ષના પુરુષ, ગાંધીનગરના 32 વર્ષના એક મહિલા અને એક 28 વર્ષના રાજકોટના પુરુષનો કેસ છે જે તમામ લોકલ ટ્રાન્શમીશન ધરાવે છે. જિલ્લાવાર પોઝિટિવ કેસની વિગતો આપતા ડૉ. જ્યંતિ રવિ એ કહ્યું કે અમદાવાદ જિલ્લામાં 23, સુરતમાં 09, રાજકોટમાં 10, વડોદરામાં 09, ગાંધીનગરમાં 11, ભાવનગરમાં 06, ગીર સોમનાથમાં 2 અને કચ્છ,મહેસાણા અને પોરબંદરમાં જિલ્લા દીઠ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જે 73 કેસ પોઝીટીવ છે તેમાં 60 દર્દી સ્ટેબલ છે, બે વેન્ટિલેટર પર તથા પાંચ દર્દીઓ પ્રોટોકોલ મુજબ ફરીથી ટેસ્ટ કરીને ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોના વાયરસના ચેપગ્રસ્ત દર્દીઓને અને તેમના કુટુંબીજનોને તેમજ સંપર્કમાં આવેલા વ્યક્તિઓને આઇસોલેશન અથવા હોમ કોરેન્ટાઈન કરાયા છે. આવા વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને સમસ્યાઓ માટે રાજ્યમાં 1100 નંબરની હેલ્પલાઇન જીવીકે ઈ.એમ.આર.આઈ 108 કઠવાડા ખાતે શરૂ કરાઇ છે. આવા લાભાર્થી દર્દીઓને 24 કલાક માટે નિષ્ણાત, એમબીબીએસ, એમ ડી, ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને સાઇકીયાટ્રીસ્ટ તબીબો દ્વારા ટેલી એડવાઇઝ પણ આપવામાં આવી રહી છે આ ઉપરાંત અમદાવાદમાં 079-22688028 ઉપર સવારના 9 થી 10 વચ્ચે ફોન કરીને ટેલી મેડિસિનની સુવિધા પણ મેળવી શકાશે.
અમદાવાદ,સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરી, યુનિપથ લેબોરેટરી અને પાનજીનો મિક્સ લેબોરેટરી અમદાવાદને પણ ટેસ્ટિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઈઝરને જરૂરિયાતની વસ્તુમાં સામેલ કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એન-95 માસ્ક 9.75 લાખ, પીપીઈ કીટ 3.58 લાખ અને ટ્રીપલ લેયર માસ્કનો 1.23 કરોડનો જથ્થો ઉપલબ્ધ છે. એજ રીતે કોવિદ-19 અંગેની પ્રોફાઈલેકસીસ માટેની ટેબલેટ હાઈડ્રોકસી કલોરોકવિન દવાને શીડ્યુલ H1 ડ્રગ તરીકે જાહેર કરી છે જેથી આ દવા માત્ર ને માત્ર અધિકૃત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ મળી શકે છે.
તેમણે ઉમેર્યું કે એન-95 માસ્ક, ટ્રીપલ લેયર માસ્ક આરોગ્ય કર્મીઓને પુરા પડાયા છે અને વધારાના દસ લાખ મંગાવાયા છે જે 108 સાથે સંકળાયેલા આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ તથા અન્ન નાગરિક પુરવઠા વિભાગની દુકાનોના કર્મીઓને પણ પૂરા પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.