ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધી ગયા છે. આજે વધુ 10 કેસ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 10ના મોત થયાં છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે આજે જે મોત થયું છે તે 67 વર્ષની અમદાવાદની વ્યક્તિ છે અને તેને અસ્થમા તેમજ ફેફસાની બિમારી હતી. સામાન્ય રીતે મોતના કેસોમાં જોવામાં આવ્યું છે કે ભૂતકાળમાં થયેલી ગંભીર બિમારીના કારણે તેઓ સર્વાઇવલ થઇ શકતા નથી. રાજ્યની હોસ્પિટલોમાંથી ચાર વ્યક્તિને રજા આપવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે નવા નોંધાયેલા કેસમાં એક મુંબઇનો કેસ છે જ્યારે નવ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. નવા કેસોમાં ભાવનગરના બે, ગાંધીનગરના બે પાટણના એક અને અમદાવાદના પાંચ છે.
નવા કેસોમાં પાંચ મહિલા અને પાંચ પુરૂષ છે. ડિસ્ચાર્જ થયેલા કુલ ચાર કેસોમાં 80 વર્ષની એક મહિલા છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી 27 વર્ષની એક મહિલાને રજા આપવામાં આવી છે, જ્યારે ગાંધીનગરની જીએમઇઆરએસ હોસ્પિટલમાંથી બે મહિલા અને એક પુરૂષને રજા આપવામાં આવી છે.
રાજ્યની હોસ્પિટલોમાં કુલ પોઝિટીવ કેસોનો આંકડો 105 થયો છે. અત્યારે એકપણ દર્દી વેન્ટીલેટર પર નથી. 81 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 14ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10 વ્યક્તિના મોત થયાં છે.
જ્યંતિ રવિએ ક્વોરેન્ટાઇનની વિગતો આપતાં કહ્યું કે 14520 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. 986 સરકારી તેમજ 271 પ્રાઇવેટ હોસ્પિટલોમાં ક્વોરેન્ટાઇન થયેલા છે. લેબોરેટરી પરીક્ષણમાં કુલ 2139 ટેસ્ટ કરવામાં આવેલા છે જે પૈકી 2018 નેગેટીવ રિપોર્ટ આવ્યા છે અને 16 હજી પેન્ડીંગ છે. રાજ્યના કુલ કેસોમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યું છે. વિદેશથી આવેલા કુલ 30 કેસ છે. આંતર રાજ્યના કેસોનો આંકડો 9 થાય છે.