આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા આવતીકાલે સુરત આવી રહ્યા છે. તેઓ બે મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે અને પરત દિલ્હી રવાના થશે. સુરતની ટૂંકી મુલાકાત દરમિાન તેઓ આપના કાર્યકરોને પણ મળવાના છે.
આપના પ્રવક્તા યોગેશ જાદવાણીના જણાવ્યા મુજબ આવતીકાલે સાંજે મનિષ સિસોદીયા પ્લેન મારફત સુરત આવશે અને આપના નેતા મહેશ સવાણી દ્વારા આયોજિત કરાયેલા સમૂહ લગ્નમાં હાજરી આપશે અને ત્યાર બાદ આપના દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી સોમવારે વહેલી સવારે દિલ્હી પરત રવાના થશે.
કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ અંગે પ્રતિક્રિયા આપતા જાદવાણીએ જણાવ્યું કે કોંગ્રેસને ફરી સજીવન કરવા માટે ખામ થિયરી પ્રમાણે કોંગ્રેસ ચાલી રહી છે. ઓબીસી અને આદિવાસીને કમાન સોંપવામાં આવી છે પણ ગુજરાતની પ્રજા કોંગ્રેસને વિપક્ષ તરીકે પણ જોવા માંગતી નથી. આપ દ્વારા ગુજરાતમાં લોકોના પ્રશ્નો અંગે જે પ્રકારે કાર્યો કરવામાં આવી રહ્યા છે તેના કારણે કોંગ્રેસ આકળવિકળ થઈ ગઈ છે.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસની કોઈ પણ બાબત હવે ગુજરાતમાં કારગત નિવડવાની નથી. ગુજરાતના લોકો કોંગ્રેસને ઓળખી ગયા છે. ઓબીસી અને આદિવાસી વોટબેન્ક હાથમાંથી સરી રહી હોવાથી કોંગ્રેસે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની નિમણૂંક કરી છે. હકીકતે કોંગ્રેસને લોકો જાકારો આપી રહ્યા છે અને આપની તરફ લોકોનો પ્રવાહ વધુને વધુ વહી રહ્યો છે. ગુજરાતના પ્રતિષ્ઠિત લોકો આપમાં જોડાવા ઉત્સુક છે.