વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનિતા અને ભ્રષ્ટાચારના સખ્ત વિરોધી એવા એક અધિકારીને ગુજરાતમાં નિવૃત્તિ પછી છ મહિના વધુ કામ કરવાની તક મળશે. તેમની અનિચ્છા હોવા છતાં મોદી તેમને વધુ છ મહિનાનું એક્સટેન્શન આપી રહી છે. આ અધિકારી ઓગષ્ટના અંતે વયનિવૃત્ત થાય છે.
ગુજરાતના નાણા વિભાગને નવો ઓપ આપી રહ્યાં હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં જેમને દિલ્હી બોલાવી લીધા હતા તે 1985 બેચના આઇએએસ અધિકારી અનિલ મુકિમ કેન્દ્રમાં માઇન્સ ડિપાર્ટમેન્ટ છોડીને ગુજરાત પાછા આવ્યા છે.
સચિવાલયના સૂત્રો કહે છે કે નરેન્દ્ર મોદીએ જ તેમને ગુજરાતમાં મોકલ્યા છે. તેઓ અહીંથી દિલ્હી ગયા હતા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હવે મારી વયનિવૃત્તિ દિલ્હીમાં થશે પરંતુ સંજોગો બદલાઇ ગયા અને અનિલ મુકિમને ચીફ સેક્રેટરી પદે પાછા આવવું પડ્યું છે.
ગુજરાતમાં બહુ ઓછા અધિકારીઓ છે કે જેમના ટેબલ પર એકપણ ફાઇલ પેન્ડીંગ પડી રહેતી નથી. મુકિમ પણ આ પ્રકારના અધિકારીઓની ટીમમાં આવે છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા અનિલ મુકિમ ઓગષ્ટ 2020માં વયનિવૃત્ત થશે પરંતુ તેમને મળેલા સમયગાળામાં ગુજરાતના વિકાસનો આકાર બદલાશે તે નિશ્ચિત છે.
તેમણે મેનેજમેન્ટ સાથે એમકોમ અને એલએલબી કર્યું છે. મુકિમે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીનું શિક્ષણ પણ નેટીવ પ્લેસ અમદાવાદથી જ લીધું છે. તેઓ રાજ્યના 29મા ચીફ સેક્રેટરી બન્યા છે. સપ્ટેમ્બર 2001માં નરેન્દ્ર મોદી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના કાર્યાલયમાં પ્રથમ સચિવ તરીકે અનિલ મુકિમની નિયુક્તિ કરવામાં આવી હતી.
વિવિધ વિભાગોમાં તેમની સાથે કામ કરનારા અધિકારીઓ કાયમ કહે છે કે તેમના ટેબલ પર કોઇ ફાઇલ પેન્ડીંગ રહેતી નથી. તેઓ તેનો ત્વરીત નિકાલ કરી દેતા હોય છે. અનિલ મુકીમને એક્સટેન્શન આપવા માટે ગુજરાત સરકાર પાસે પ્રથમ ભલામણ મંગાવવામાં આવશે અને ઓગષ્ટના અંતિમ દિવસે ઓર્ડર કરાશે. જો તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું તો તેઓ 28મી ફેબ્રુઆરી સુધી પદ પર રહેશે.