ગાંધીનગર:ગુજરાતના શિક્ષણનું જ્યારથી પ્રાઇવેટાઇઝેશન થયું છે ત્યારથી સ્કૂલ સંચાલકોએ વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવાનું શરૂ કર્યું છે. સરકારી મફત શિક્ષણ છોડીને આખો પ્રવાહ ખાનગી સ્કૂલો તરફ વળી ગયો અને શિક્ષણનું અધ:પતન શરૂ થયું છે. કેજીમાં અભ્યાસ કરતાં બાળકની ફી 50,000 સુધી વસૂલવામાં આવે છે. બે બાળકોના એક પરિવારમાં વ્યક્તિની કુલ આવકનો 40 ટકા ભાગ બાળકોનું શિક્ષણ ખાઇ જાય છે તેમ છતાં સ્કૂલ સંચાલકોની દાદાગીરીનો સામનો કરવો પડે છે.
કોરોના સંક્રમણના સમયમાં જ્યારે સ્કૂલો બંધ કરવાનો સરકારે આદેશ આપ્યો છે ત્યારે ખાનગી સ્કૂલ સંચાલકોને કોઇપણ શિક્ષણ કામ કર્યા વિના વાલીઓ પાસેથી ફી ઉઘરાવવી છે પરંતુ ગુજરાત હાઇકોર્ટે તેના પર રોક લગાવી અને રાજ્યના શિક્ષણ વિભાગે કડક પરિપત્ર જાહેર કર્યો ત્યારે સ્કૂલ સંચાલકોના પેટમાં તેલ રેડાયું અને તેમની દાદાગીરી ત્યાં સુધી પહોંચી ગઇ કે સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરી દીધું. શિક્ષણતંત્રમાં આના થી વધારે શરમજનક કિસ્સો હોઇ શકે નહીં.
કોરોનાને પગલે ગયા માર્ચથી સ્કૂલો બંધ છે ક્લાસરૂમ શિક્ષણ જ થતુ નથી ત્યારે ઘણા સમયથી વાલીઓ દ્વારા ફી માફીની માંગ ઉઠી હતી અને સરકાર સામે આ મુદ્દે વિરોધ સાથે આંદોલન પણ શરૂ થયુ હતુ ત્યારે અંતે સરકારે વિધિવત ઠરાવ કરતા સ્કૂલો વાસ્તવીક રીતે પુન:શરૂ ન થાય ત્યાં સુધી એટલે કે ક્લાસરૂમ શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી સંચાલકો ફી નહી લઈ શકે તેવો કડક આદેશ કર્યો છે અને જે સાથે વાલીઓને મોટી રાહત મળી છે.જો કે સરકારે સંચાલકો સાથે ફી મુદ્દે બેઠકો પણ કરી હતી અને ફી ઘટાડવા સમજાવ્યા હતા પરંતુ સંચાલકો ફી ઘટાડવા સંમંત ન થતા અંતે સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું હથિયાર સંચાલકો સામે ઉગામ્યુ છે.
વાલીઓ દ્વારા કરાયેલી પીટિશનના કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા ફી અને ઓનલાઈન એજ્યુકેશન સહિતના વિવિધ મુદ્દે આજે વિધિવત ઠરાવ કરવામા આવ્યો છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ તમામ સ્કૂલોએ કેન્દ્ર સરકાર દ્વારા 14મી જુલાઈએ પ્રગ્યાતા ,ગાઈડલાઈન ફોર ડિજિટલ એજ્યુકેશન મુજબ હોમ લર્નિંગ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ કરવાની રહેશે .
રાજ્યની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલો માટે પુખ્ત વિચારણના અંતે જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ ધો.5 થી 12 માટે બાયસેગ મારફતે વંદે ગુજરાત ચેનલ પરથી પ્રસારિત થતા શિક્ષણ કાર્યક્રમો બાળકો જોઈ શકે તે માટે સ્કૂલોએ પચાર-પ્રાસર કરવાનો હેશે. 17 જુલાઈ 2018ના નોટિફિકેશન મુજબ વૈકલ્પિક પ્રવૃત્તિઓ-સુવિધાઓ માટેની ફી અંગે જોગવાઈ કરવામા આવેલ છે જે મુજબ જે વિદ્યાર્થી ઈત્તર પ્રવૃત્તિનો લાભ લેતા હોય તેઓની પાસેથી જ તે માટેની ફી વસૂલ કરી શકાય.
હાલ શાળાઓ બંધ હોઈ ઈત્તર પ્રવૃત્તિની ફી કોઈ વિદ્યાર્થી પાસેથી લેવાની રહેશે. જો વાલીએ ફી ભરી હોય તો શાળાએ નિયમિત ક્લાસર શરૂ થાય ત્યારે લેવાની થતી ફીમાં સરભર કરવાની રહેશે. ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ ગુજરાત સ્વનિર્ભર અધિનિયમ ,2017ની કલમ 16થી મળેલ સત્તાની રૂએ ખાનગી સ્કૂલો માટે કડક સૂચનાઓ જાહેર કરાઈ છે.
>સરકારના ઠરાવ મુજબ લોકડાઉનની સ્થિતિમાં પણ ઘણી સ્કૂલોએ વાલીઓ પાસથી ફીની માંગણી કરી ભરવા ફરજ પાડી છે અને ઘણી સ્કૂલોએ તેમના શિક્ષકો-કર્મચારીઓ સહિતના સ્ટાફને પગાર ચુકવતી નથી તેમજ કેટલીક સ્કૂલો 40થી50 ટકા જેટલુ ઓછુ વેતન ચુકવે છે. સ્કૂલો ચેરિટેબલ સંસ્થાઓ છે અને હાલની સ્થિતિમાં સ્કૂલોએ વાલીઓને ટેકો આપવો જોઈએ. તેમ છતાં સ્કૂલ સંચાલક મહામમંડળ વિકટ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં કોઈ પણ પ્રકારનો ફી ઘટાડો કરવા ઈન્કાર કર્યો છે.જથી તમામના જાહેર હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છેકે સ્કૂલો વાસ્તવિક રીતે બંધ થઈ છે તે સમયગળાથી શરૂ કરીને પુન:વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધીની કોઈ પણ પ્રકારની ટયુશન ફી વસૂલ કરી શકાશે નહી.
ઉપરાંત ખાનગી સ્કૂલો 2020-21માં કોઈ પણ પ્રકારનો ફી વધારો કરી શકશે નહી અને લોકડાઉનના સમયગાળા દરમિયાન શાળાઓને થયલે શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓના વેતનનો વાસ્તવિક ખર્ચ ફી રેગ્યુલેશન એક્ટ હેઠળ આગામી વર્ષની ફી નક્કી કરતી વખતે ફી કમિટી દ્વારા ધ્યાને લેવાશે.
મહત્વનું છે કે સરકારે હવે જ્યાં સુધી ક્લાસરૂમ શિક્ષણ શરૂ ન થાય અને રેગ્યુલર સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી વાલીઓને સંપૂર્ણ ફી માફીની રાહત આપી દીધી છે અને જેનાથા રાજ્યના લાખો વાલીઓને મોટો ફાયદો થશે.ઉપરાંત જો કોઈ વાલીએ એડવાન્સ ફી ભરી હોય તો સ્કૂલે આગામી સમયમા લેવાની થતી ફી સામે વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે.
ગત શૈક્ષણિક વર્ષને ધ્યાનમાં રાખતા 30 જુન સુધી ફી ન ભરનાર વિદ્યાર્થીને આરટીઈ એક્ટ હેઠળ શાળામાંથી દૂર કરી શકાશે નહી.જે જોગવાઈનું રાજ્યની તમામ સ્કૂલે પાલન કરવાનુ રહેશે. રાજ્ય સરકારના આ ઠરાવનો અમલ રાજ્યની ગુજરાત બોર્ડની તમામ ખાનગી સ્કૂલો ઉપરાંત સીબીએસઈ-અન્ય બોર્ડની સ્કૂલે પણ કરવાનો રહેશે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે વાલીઓ દ્વારા કરાયેલી પીટિશનના કેસની સુનાવણીમાં હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે વિવિધ ત્રણ મુદ્દે એફિડેવિટ કરીને સરકારનો મત રજૂ કર્યો છે. જે મુજબ જો શિક્ષણકાર્ય થતુ ન હોય તો કોઈ પણ પ્રકારની ફી ન લઈ શકાય અને સરકાર બાળકોના શિક્ષણ કાર્યને ઓનલાઈન મોડમા ચાલુ રાખવા માટે કોમન ગાઈડલાઈન પણ બહાર પાડી છે.જે મુજબ વિવિધ માધ્યમથી હોમ લર્નિંગ ચાલુ રહેશે.સરકારની આ એફિડેવિટને હાઈકોર્ટ સમક્ષ મુકાયા બાદ હવે આગામી સુનાવણીમાં હાઈકોર્ટ નક્કી કરશે.
હાઇકોર્ટના આદેશની સાથે સાથે સરકારના ઠરાવ પાછળ એવી પણ ચર્ચા છે કે સરકાર દુધ અને દહીં બંનેમા પગર રાખવા માંગે છે. સરકાર ઈચ્છે કે સંપૂર્ણ ફી માફી આપીને વાલીઓની વાહવાહી મળી જાય અને સરકાર વાલીઓ સામે આંખે ન થાય તેમજ બીજી બાજુ સંચાલકો ફી નહી લેવાના કડક આદેશ સામે હાઈકોર્ટમાં જાય અને હાઈકોર્ટ જે નક્કી કરે તે પછી ફાઈનલી માન્ય રહે.
સરકારે જ્યારે હવે કોઈ પણ પ્રકારની ફી ન લેવા આદેશ કરી દીધો છે ત્યારે ગુજરાતના તમામ સ્કૂલ સંચાલક મંડળો સરકાર સામે એક થયા છે અને 23મીથી ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરવા તેમજ તમામ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કરવા નિર્ણય કર્યો છે. સંચાલકોની રજૂઆત છે કે જો ફી જ ન મળે તો સ્ટાફને કઈ રીતે પગાર ચુકવવો. સરકારે ટ્રસ્ટી મંડળોને માનસિક રીતે ભાગી નાખ્યા છે.
રાજ્ય સરકારે ફી અને ઓનલાઈન શિક્ષણ મુદ્દે ઠરાવ કરતા કોઈ પણ સ્કૂલને રેગ્યુલર કલારૂમ શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ફી ન વસૂલવા કડક આદેશ કરી દીધો છે અને માર્ગદર્શિકા નક્કી કરી દીધી છે ત્યારે સરકાર સામે રોષે ભરાયેલા રાજ્યના ખાનગી સ્કૂલ સંચાલકોએ આવતીકાલે 23મીથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવા નિર્ણય કર્યો છે.
ગુજરાત બોર્ડની રાજ્યની ધો.1 થી 12ની ખાનગી સ્કૂલોના વિવિધ સંચાલક મંડળોમાંથી મોટા ભાગના સંચાલક મંડળોએ 23મીથી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. ઉપરાંત સીબીએસઈ-અન્ય બોર્ડની ખાનગી સ્કૂલોના સંચાલક મંડળોએ પણ 23મીથી ઓનલાઈન શિક્ષણ ન ચલાવવા નિર્ણય કર્યો છે. જ્યારે ગુજરાત બોર્ડની સ્કૂલના એક મંડળે બે દિવસ બાદ નિર્ણય કરવા જણાવ્યુ છે. મહત્વનું છે કે એફઆરસી એક્ટ બાદ હવે આ ફી નહી વસૂલવા મુદ્દે પણ રાજ્યની તમામ બોર્ડની તમામ સ્કૂલોના સંચાલકો સરકારના નિર્ણય સામે વિરોધ કરવા એક થયા છે. અમદાવાદ,સુરત,રાજકોટ સહિતના તમામ શહેરોના મંડળોએ પણ સરકારનો વિરોધ કર્યો છે. સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ ઉપરાંત તમામ પ્રકારની વહિવટી પ્રવત્તિ પણ બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારે સંચાલકો અને સરકાર વચ્ચે વિદ્યાર્થીઓનો મરો થઇ રહ્યો છે. હવે સ્કૂલ સંચાલકો હાઇકોર્ટનો આશરો લે તેવી સંભાવના વધી ગઇ છે.