નવરાત્રિના આઠમા દિવસે એટલે આઠમ તિથિએ માતા દુર્ગાની વિશેષ પૂજાનું વિધાન છે. આ વખતે તે 20 એપ્રિલ, મંગળવારે છે. સાથે જ આ દિવસ દેવી માતા મહાગૌરીનો છે. નવરાત્રિમાં આઠમ અને નોમ વિશેષ દિવસ હોય છે. આ દિવસોમાં કન્યા ભોજન અને દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા અને હવન કરવામાં આવે છે. માર્કંડેય પુરાણમાં આઠમ તિથિને દેવી પૂજાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જેના પ્રમાણે આઠમના દિવસે દેવી પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઇ જાય છે અને ઘરમાં ક્યારેય દરિદ્રતા પણ આવતી નથી. આ વખતે મહામારીને જોતા કન્યા પૂજન ન પણ કરી શકો તો તેનો દોષ લાગશે નહીં. આઠમના દિવસે કન્યા પૂજનનો સંકલ્પ લઇને આવનાર કોઇપણ મહિનામાં સુદ પક્ષની આઠમ તિથિએ કન્યાઓનું પૂજન કરી ભોજન કરાવવામાં આવે તો દેવી પ્રસન્ન થશે. સાથે જ, આ આઠમ તિથિએ કોઇપણ જરૂરિયાતમંદને ભોજન ખવડાવી શકો છો. આઠમ તિથિએ અનેક પ્રકારના મંત્રો અને વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇએ. આ દિવસે માતા દુર્ગા પાસે સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, વિજય, આરોગ્યતાની કામના કરવી જોઈએ. માતા દુર્ગાનું પૂજન આઠમ અને નોમના દિવસે કરવાથી કષ્ટ અને દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. આ તિથિ પરમ કલ્યાણકારી, પવિત્ર, સુખ આપનારી અને ધર્મની વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે.
