મોરબીના હળવદમાં આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પડતા-પડતા માંડ બચ્યા હતા. ગુજરાત પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ સીઆર પાટીલ માંડ માંડ બચી શક્યા હતા કારણ કે નીચે ઉતરતી વખતે સીડીનો એક ભાગ પડી ગયો હતો. લોકો ફોટો માટે પડાપડી કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
સી.આર.પાટીલ આજે હળવદના નકલંક ધામ ખાતે પ્રજાપતિ સ્નેહમિલન અને શૈક્ષણિક શંકુલના ઉદ્વાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી બ્રિજેશ મેરજા, કિરીટસિંહ રાણા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહન કુંડારીયા તેમજ ભાજપના અગ્રણી આગેવાનો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા. સી. આર. પાટીલ રામદેવજી મહારાજ પાસે ગયા અને મંચ પર પહોંચ્યા.
સીઆર પાટીલ હાલમાં વિવિધ સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ગઈકાલે તેમણે રાજકોટમાં સુશાસન સપ્તાહના કાર્યક્રમમાં હાજરી આપી હતી. પહેલીવાર રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સીઆર પાટીલનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ભાજપ સોશિયલ એન્જિનિયરીંગ પર કામ કરી રહ્યું છે. આના ભાગરુપે સીઆર પાટીલ સતત સામાજિક પ્રસંગોમાં સક્રીય થયેલા જોવા મળી રહ્યા છે. જોકે, સદ્દનસીબે મોરબીની ઘટનામાં વિશેષ કશું થયું ન હતું.