વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે.
શૈલ એટલે પર્વત…અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે.
પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્ર રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે.
આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. આ નવદુર્ગા અહીં પર્વતરાજ ત્યાં અવતર્યા તે પહેલાનાં જન્મમાં ‘સતી’ હતાં જેઓ મહાદેવ શંકરજી સાથે વિવાહીત હતાં પરંતુ પોતાનાં પિતા દક્ષ પ્રજાપતિનાં ઘરે યજ્ઞમાં તેઓ તેમજ પોતાના પતિ મહાદેવને અપમાનિત થતાં જોઈ સ્વયં યોગાગ્નિમાં ભસ્મીભૂત થયાં,અને આ સતીએ યોગાગ્નિમાં સ્વયંને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે જન્મ લીધો…અને પાર્વતી તરીકે પણ પ્રસિદ્ધ થયાં.
શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો. નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્ત્વ અને શક્તિઓ અનંત છે.
નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને ‘મૂલાધાર’ ચક્રમાં સ્થિત કરે છે અને યોગ સાધનાનો પ્રારંભ થાય છે.