ગાંધીનગર – ગુજરાતમાં કોરોના પોઝિટીવના વધતા કેસો તેમજ મૃત્યુદર 5.5 ટકા થતાં ફફડી ઉઠેલી કેન્દ્ર સરકારે દેશના વિવિધ જિલ્લાઓ સહિત ગુજરાતમાં પણ ત્રણ ટીમો મોકલવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કેસો કેમ વધે છે તેમજ મૃત્યુદર ઓછો કેમ થતો નથી તેના કારણોનો અભ્યાસ કરી આ ટીમ કેન્દ્રને તેનો અહેવાલ આપશે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે પીએમઓની સૂચનાથી મહારાષ્ટ્રના મુંબઇ, પૂના, ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં આરોગ્યની ટીમો મોકવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે બીજા રાજ્યોમાં કે જ્યાં પોઝિટીવ કેસો વધી રહ્યાં છે ત્યાં પણ આ ટીમો જશે. ગુજરાતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમો બીજીવાર આવી રહી છે.
કેન્દ્રની લોકડાઉનની ગાઇડલાઇન હોવા છતાં ગુજરાત સરકારે રાજ્યના છ શહેરોમાં ખાનગી ઓફિસો પણ ખોલવાનો ઇન્કાર કરી દીધો છે. જીવન આવશ્યક ચીજવસ્તુ સિવાયની અન્ય દુકાનો પણ ખોલવાની પરવાનગી અપાશે નહીં. કેન્દ્રની આ ટીમો રાજ્ય સરકાર અને જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનને કોરોના સંક્રમણ અટકાવવા સહાયરૂપ થશે.
અમદાવાદમાં કોરોનાના 3817 કેસો સામે 208 દર્દીઓનાં મોત થયાં છે. વડોદરામાં 350 કેસો સામે 25 મોત અને સુરતમાં 686 કેસો સામે 30 દર્દીઓના મોત થયાં છે. આ ત્રણ શહેરોમાં કોરોના ટ્રાન્સમિશન વધી રહ્યું છે તેના કારણોની તપાસ પણ આ કેન્દ્રીય ટીમો કરશે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ હોય તેવા 5428 કેસો નોંધાયા છે. જયારે 290 દર્દીઓના મોત થયાં છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં સારવાર આપીને 1042 દર્દીઓને રજા પણ આપી દેવામાં આવી છે. એકલા અમદાવાદમાં મૃત્યુ ઉચો છે અને તેની સાથે કોરોનાનું સંક્રમણ પણ વઘારે છે. ગુજરાતમાં મૃત્યુદર 5.5 ટકા છે જે દેશમાં ઉંચો માનવામાં આવે છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.