ગાંધીનગર—કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં ગુજરાતમાં આયુર્વેદિક દવાઓ ખૂટી પડતાં રાજ્ય સરકારે આ દવાઓ ઉત્તરાખંડથી મંગાવી છે. લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વપરાતી દવાઓ કેન્દ્રની આયુર્વેદ ફાર્મીસ પાસેથી લેવામાં આવી છે. આ દવાઓ હવાઇ માર્ગે લાવવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે સાત ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે મેળવવામાં આવ્યો છે. આ આયુર્વેદ દવાઓ સોમવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચી હતી. જે આયુર્વેદ દવાઓ ગુજરાત માટે ફાળવવામાં આવી છે તેમાં 2490 કિલોગ્રામ સંશમની વટી, 1440 કિલોગ્રામ દશમૂલ કવાથ અને 10,000 કિલોગ્રામ આયુષ-64 કેપ્સ્યુલનો સમાવેશ થાય છે. આ દવાઓ સામાન્યત: સાત દિવસ માટે લેવાની હોય છે તે દ્રષ્ટિએ 4.50 લાખ લોકોને તેનો લાભ મળી શકશે તેવો અંદાજ છે.
કોરોનાના દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગ પ્રતિકાર શક્તિ વધારવાની બાબતને પણ વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારી આયુર્વેદિક દવાઓનો વપરાશ વધ્યો છે. ગુજરાતમાં આ આયુર્વેદિક દવાઓ સીધી અને ઉકાળા સ્વરૂપે આપવાની પ્રક્રિયા સાર્વત્રિક બનાવાઈ છે ત્યારે રાજ્યમાં આ આયુર્વેદિક દવાનો જથ્થો જળવાઈ રહે તે માટે વધુ ૭ ટન આયુર્વેદિક દવાઓ ગુજરાતને ઉપલધ થયો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા 179000 જેટલા ડોઝ રોગપ્રતિરોધક ઊકાળાના નાગરિકોને આપવામાં આવ્યા છે. એટલું જ નહિ, સંશમની વટી ગોળીનો લાભ 13.30 લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-30 પોટેન્સિનો લાભ 1.05 કરોડ લોકોએ મેળવ્યો છે.
રાજ્યમાં કોવિડ કેર સેન્ટરમાં એસિમ્ટોમેટીક 1211 દર્દીઓને આયુર્વેદ સારવાર અપાય છે અને 427 દર્દીઓ તો સાજા પણ થયા છે. આયુર્વેદના રોગપ્રતિકારક ઊકાળા અમૃત પેયનું 568 સરકારી આયુર્વેદ દવાખાના તથા 38 હોસ્પિટલ દ્વારા રાજ્યમાં વિતરણ કરાય છે. અમદાવાદમાં બે લાખ ઘરોમાં આવી રોગ પ્રતિકારક શક્તિ વધારનાર આયુર્વેદ દવા – સંશમની વટી અને હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બમ-30નું ડોર ટુ ડોર સુધી વિતરણ કરવાનું આયોજન પણ કરાયું છે.