29 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીને શરૂ થવાને 3 દિવસ બાકી છે ત્યારે મેઘરાજા વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યાં. સતત ત્રણ દિવસથી બપોર બાદ મેઘગર્જના સાથે વરસાદ વરસતા શહેરના મોટાભાગના ગરબાના મેદાનમાં પાણી ભરાતા કાદવ-કિચડ થઈ ગયા છે. જેને લઇને ગરબાપ્રેમીઓમાં ચિંતા ફરી વળી છે.
યુનાઈટેડ-વે તેમજ વીએનએફ જેવા મોટા આયોજકો દ્વારા અત્યાધુનિક ટેકનીક વડે મેદાનમાંથી પાણી કાઢવા માટે મશીનરી કામે લગાવી છે. પરંતું નાના આયોજકો દ્વારા મેદાનોમાંથી કાદવ-કિચડ કાઢવામાં માથાનો દુખાવો બન્યો છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદના પગલે મહેસાણાના ગરબા ગ્રાઉન્ડ ખાતે પાણી ભરાતા કાદવ-કિચડનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે. હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના 3 દિવસ વરસાદી ઝાંપટા પડવાની આગાહી છે. મહેસાણા ગરબાની કમિટીના સભ્ય મુકેશભાઈએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે ગ્રાઉન્ડમાં કાદવ-કિચડ થઈ ગયા છે. હવે અમે રોડ પર ગરબા રમાડવા માટે પરમીશન માંગવાના છે.