જો તમે પણ રોજ કોફીમાં ઘી નાખીને પીવો છો? તો જાણો ૩ મહિનામાં શરીર પર શું થશે અસર
આજના આધુનિક યુગમાં વજન ઘટાડવા અને એનર્જી લેવલ વધારવા માટે અવનવા પ્રયોગો થતા રહે છે. આવો જ એક પ્રયોગ એટલે કોફીમાં ઘી ઉમેરીને પીવાનો, જેને પશ્ચિમી દેશોમાં ‘બુલેટપ્રૂફ કોફી’ તરીકે ભારે લોકપ્રિયતા મળી છે. ઘણા લોકોનું માનવું છે કે સવારે ચા ને બદલે આ કોફી પીવાથી વજન ઝડપથી ઘટે છે અને મગજ સતેજ બને છે. પરંતુ, જો તમે સળંગ ત્રણ મહિના સુધી દરરોજ આ ઘી વાળી કોફી પીતા રહો, તો તમારા શરીરની આંતરિક સિસ્ટમ પર તેની શું સકારાત્મક કે નકારાત્મક અસરો થઈ શકે? આ ગંભીર સવાલનો વૈજ્ઞાનિક જવાબ જાણીતા કન્સલટન્ટ ડાયેટિશિયન અને ડાયાબિટીસ એજ્યુકેટર કનિકા મલ્હોત્રાએ આપ્યો છે. તેમના મતે, આ આદત શરીરને ઉર્જા તો આપે છે, પરંતુ લાંબા ગાળે કેટલાક સ્વાસ્થ્ય જોખમો પણ લાવી શકે છે.
વજન ઘટાડવામાં ઘી કેટલું મદદરૂપ?
આરોગ્ય નિષ્ણાત કનિકા મલ્હોત્રા જણાવે છે કે શુદ્ધ દેશી ઘી માં ઘણા બધા આવશ્યક ફેટી એસિડ્સ રહેલા હોય છે, જેમાં કન્જુગેટેડ લિનોલેઇક એસિડ (CLA) મુખ્ય છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે સીએલએ (CLA) શરીરમાં જમા થયેલી નકામી ચરબીની માત્રાને ઘટાડવામાં અને વજનને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ઘી માં ‘બ્યુટિરેટ’ નામનું શોર્ટ-ચેઇન ફેટી એસિડ જોવા મળે છે, જે આપણા આંતડાના સ્વાસ્થ્ય (Gut Health) ને સુધારે છે અને પાચનક્રિયાને એકદમ સરળ બનાવે છે. જો કે, આ બધા ફાયદા ત્યારે જ મળે છે જ્યારે તમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઘી ની પસંદગી કરો છો. એટલે કે જે ગાયો માત્ર લીલું ઘાસ ખાતી હોય, તેના દૂધમાંથી પરંપરાગત રીતે બનેલું શુદ્ધ દેશી ઘી જ કોફીમાં વાપરવું હિતાવહ છે.

ઉર્જા અને માનસિક એકાગ્રતામાં જબરદસ્ત વધારો
જ્યારે તમે બ્લેક કોફીમાં ઘી મિક્સ કરો છો, ત્યારે કેફીન અને ઘી ના તત્વો એકસાથે મળીને તમારા મેટાબોલિઝમ (ચયાપચય) ને બુસ્ટ કરે છે. કોફીમાં રહેલું કેફીન એક કુદરતી ઉત્તેજક પદાર્થ છે, જે મગજના જ્ઞાનતંતુઓને જગાડીને આખો દિવસ ઉર્જા, એકાગ્રતા અને માનસિક સ્પષ્ટતા જાળવી રાખવામાં મદદ કરે છે. ઘી માં રહેલી હેલ્ધી ફેટ્સને કારણે કેફીન લોહીમાં ખૂબ જ ધીમે ધીમે ભળે છે, જેના લીધે સામાન્ય કોફી પીધા પછી જે એકદમ એનર્જી ડાઉન થઈ જવાનો પ્રશ્ન નડે છે, તે બુલેટપ્રૂફ કોફીમાં નડતો નથી અને લાંબા સમય સુધી શરીરમાં ઉર્જા ટકી રહે છે.

વધુ પડતું સેવન સ્થૂળતા અને બીમારીઓ નોતરી શકે
નિયમિત ત્રણ મહિના સુધી આ પ્રયોગ કરતી વખતે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે. કનિકા મલ્હોત્રા ચેતવણી આપતા કહે છે કે ઘી ભલે સ્વાસ્થ્યપ્રદ ચરબી ધરાવે છે, પરંતુ તેમાં કેલરીની માત્રા અતિશય વધારે હોય છે. જો તમે દિવસભર શારીરિક શ્રમ બિલકુલ નથી કરતા અને આહારમાં કેલરીનું સંતુલન જાળવ્યા વગર રોજ વધુ પડતું ઘી કોફીમાં નાખીને પીવો છો, તો વજન ઘટવાને બદલે ઝડપથી વધી શકે છે. શરીર આ વધારાની અને વણવપરાયેલી કેલરીને ચરબીના સ્વરૂપમાં સંગ્રહિત કરવા લાગે છે, જે પાછળથી મેદસ્વીતા, ફેટી લીવર અને હૃદયના રોગો જેવી અનેક ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
આ ૪ પ્રકારના લોકોએ ઘી વાળી કોફી ભૂલથી પણ ન પીવી જોઈએ
ડાયેટિશિયન કનિકા મલ્હોત્રાના મતે, આ કોફી દરેક વ્યક્તિના શરીર પ્રકૃતિને અનુકૂળ આવતી નથી. ખાસ કરીને નીચે દર્શાવેલા ચાર વર્ગના લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ:
૧. હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતી વ્યક્તિઓ: જે લોકોના શરીરમાં પહેલેથી જ બેડ કોલેસ્ટ્રોલ (LDL) અથવા ટ્રાઇગ્લિસરાઇડ્સનું પ્રમાણ વધારે છે, તેમણે કોફીમાં ઘી ન નાખવું જોઈએ, કારણ કે તે ધમનીઓમાં બ્લોકેજ વધારી શકે છે.
૨. પાચનની સમસ્યાવાળા લોકો: જેમને અવારનવાર ગેસ, એસિડિટી, આઈબીએસ (IBS) કે અપચો રહેતો હોય, તેમના માટે સવારે ખાલી પેટે આટલી ભારે ફેટ પચાવવી મુશ્કેલ બને છે.
૩. વજન નિયંત્રણને લઈને ચિંતિત લોકો: જો તમે કોઈ ચોક્કસ કેલરી-ડેફિસિટ ડાયેટ પ્લાન ફોલો કરી રહ્યા છો, તો ઘી કોફી તમારી આખી કેલરી ગણતરી બગાડી શકે છે.
૪. તબીબી પરિસ્થિતિઓ ધરાવતી વ્યક્તિઓ: કિડની, લીવર કે હાર્ટ સંબંધિત કોઈ ગંભીર બીમારીની દવાઓ ચાલતી હોય તેવા દર્દીઓએ ડૉક્ટરની સલાહ વગર આ પ્રયોગ ન કરવો જોઈએ.
અંતમાં, જો તમે ત્રણ મહિના સુધી આ પ્રયોગ કરવા માંગતા હોવ, તો તમારી શારીરિક સ્થિતિ અને દૈનિક કેલરીની જરૂરિયાતને સમજીને, કોઈ ડાયેટિશિયનની દેખરેખ હેઠળ જ આગળ વધવું એ જ ડહાપણભર્યું પગલું છે.