મુંબઈ : સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને એક મહિનો થઈ ગયો છે. તાજેતરમાં નિર્માતા-દિગ્દર્શક એકતા કપૂરે અભિનેતાની યાદમાં મોટી જાહેરાત કરી છે. તેમણે સુશાંતને શ્રદ્ધાંજલિ આપી અને મેન્ટલ હેલ્થ અવેરનેસ ફંડ શરૂ કરવાની જાહેરાત કરી. ફંડનું નામ સુશાંતની પહેલી સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ પર રાખવામાં આવ્યું છે અને આ માટે એકતા તરુણ કતિયલ સાથે કામ કરશે. આ ભંડોળનો ઉદ્દેશ માનસિક સ્વાસ્થ્ય વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.
એકતા કપૂરે આ વિશે કહ્યું- ‘છેલ્લા 10 વર્ષમાં ટાઇમ ઘણો બદલાયો છે, આજે દરેક બાબતે ખૂબ દબાણ આવે છે. આ રોગચાળાની વચ્ચે જ્યાં આપણે ઘરોની અંદર સીમિત રહ્યા છીએ, ત્યાં આપણે ઘણાં તાણ અને ચિંતાનો સામનો કરી રહ્યા છીએ. કામ, ઘર, નોકરી વગેરેના નુકસાનને કારણે આપણું તણાવનું સ્તર પણ વધી રહ્યું છે, જેના કારણે ઘણા લોકોમાં માનસિક સ્વાસ્થ્ય પણ બગડતું જાય છે. હું ‘પવિત્ર રિશ્તા ફંડ’નો ભાગ બનવા માટે ખુશ છું અને આગળ પણ આ પ્રકારની પહેલ સાથે સંકળાયેલા હોવાનો મને આનંદ થશે ‘.