Reunion: ધર્મેન્દ્ર અને અરબાઝ ખાન ફરી એકસાથે, ‘મૈને પ્યાર કિયા ફિર સે’ માટે તૈયાર
Reunion: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને અરબાઝ ખાન 27 વર્ષ બાદ ફરી સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. આ બંને પહેલા 1998માં આવેલી હિટ ફિલ્મ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં એકસાથે નજર આવ્યા હતા. હવે તેઓ નવી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા ફિર સે’માં મળીને કામ કરશે.
આ ફિલ્મનું નિર્માણ પર્લ ગ્રુપ ઓફ કંપનીઝ અને સિનેબસ્ટર મેગેઝિન પ્રાઇવેટ લિમિટેડના માલિક રોની રોડ્રિગ્સ કરી રહ્યા છે, જેણે ફિલ્મની વાર્તા અને ગીતોના શબ્દો પણ લખ્યા છે. તાજેતરમાં મુંબઈમાં ફિલ્મનો મુહૂર્ત સમારોહ સ્ટાર્સની હાજરીમાં યોજાયો હતો, જેમાં રાજપાલ યાદવ, વિદ્યા માલવડે, ગણેશ આચાર્ય, કંગના શર્મા, ઉદિત નારાયણ સહિતના અનેક પ્રસિદ્ધ કલાકારો હાજર રહ્યા.
ફિલ્મના ગીતોનું ગાયન ઉદિત નારાયણ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના એક અનરિલીઝ્ડ ગીતને પણ તેમણે મુહૂર્તમાં પ્રસ્તુત કર્યું.
ધર્મેન્દ્રએ ફિલ્મની પ્રશંસા કરતાં જણાવ્યું, “મૈને પ્યાર કિયા ફિર સે’ એ મિક્ષ વેજ જેવી ફિલ્મ છે, જેમાં મનોરંજન અને ભાવના બંને છે. અરબાઝ સાથે ફરી એકવાર કામ કરવાનો મોકો મળ્યો તે આનંદદાયક છે.”
અરબાઝ ખાનએ પણ ધર્મેન્દ્ર સાથે કામ કરવાનો આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું, “ધર્મેન્દ્રજી સાથે ફરી સેટ પર આવવું ખૂબ ગૌરવની વાત છે. હવે એવું લાગે છે કે અમારી ફિલ્મી સફર સંપૂર્ણ થઈ ગઈ.”
ફિલ્મનું દિગ્દર્શન સાબીર શેખ દ્વારા થશે અને ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે. ફિલ્મ નવેમ્બર 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે.