ગાંધીનગર : કેરી એટલે ફળોનો રાજા. સૌકોઇનું પ્રિય ફળ કેરીની લહેજત રાજ્ય સહીત દેશ અને દુનિયાના ઘરોમાં માણવામાં આવે છે. પરંતુ હાલ વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે કેરીનું વેચાણ કેવી રીતે કરવું તે સમસ્યા ઉભી થઇ છે. એકતરફ દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને બીજી તરફ કેરીનો પાક તૈયાર છે પરંતુ આ સમયમાં તેના વેચાણ માટે યોગ્ય પગલાં લેવામાં માટે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાતના તમામ કલેકટર સમક્ષ માંગ કરવામાં આવી છે.
રાજ્યમાં દર વર્ષે બાગાયતી ફળ કેરીનું મબલક ઉત્પાદન થાય છે તેમજ ગુજરાત રાજ્યની કેરીની માંગ દેશ વિદેશમાં રહે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેરી મુખ્ય બાગાયતી પાક છે. હાલ રાજ્યમાં કેરીનો પાક તૈયાર થઇ ગયો છે. પરંતુ તાજતરમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે કેરીના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો ખેડૂતો સમયસર આ બાગાયતી પાકનું વેચાણ ન કરે તો તેમને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
લોકડાઉન અને સરકારના સમયાંતરે આવતા નવા સૂચનોને ધ્યનમાં રાખીને રાજ્યમાં કેરીના વેચાણને પ્રોત્સાહન આપવા માટે જરૂરી વ્યવસ્થા કરી આપવા તેમજ કેરીના વેચાણ સમયે ખેડૂતો, ડ્રાયવરો, મજૂરો, વેપારીઓને પરિવહન દરમિયાન તેઓને નિયમ મુજબ છૂટછાટ આપવા માટે ગુજરાત રાજ્યના તમામ કલેકટરને વિનંતી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, અમદાવાદ અને સુરત જેવા કોરોનાના હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉનનો કડક અમલ શરુ કરવામાં આવ્યો છે. જેમાં દૂધ અને દવા સિવાયની તમામ વસ્તુની દુકાનો ખોલવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ દરમિયાન આ શહેરોમાં શાકભાજી તેમજ કરિયાણાની દુકાનો પણ બંધ રાખવાનો આદેશ કરાયો છે, એવા સમયમાં રાજ્યમાં કે રાજ્યની બહાર કેરીના વેચાણ માટે રાજ્યના કલેકટર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, તે તો આવનાર સમય જ બતાવશે.