ગાંધીનગર જિલ્લાની 89 ગ્રામ પંચાયતોની પાંચ વર્ષની મુદત ગત તારીખ 30મી, એપ્રિલના રોજ પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતની ચુંટણીઓ હાલમાં યોજાવાની નહી હોવાથી વહિવટદારની નિમણુકનો વિકાસ કમિશ્નર દ્વારા આદેશ થતા જિલ્લાની 89 ગ્રામ પંચાયતોમાં વહિવટદાર તરીકે તલાટીની જ નિમણુંક કરવામાં આવતા જુનિયર અને સિનિયર વચ્ચેનો ભેદભાવ ઉભો થતા હવે ગ્રામ પંચાયતના તલાટી અને વહિવટદાર વચ્ચે મતભેદ ઉભા થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત 15માં નાણાંપંચની ગ્રાન્ટ માટે ચેકર અને મેકર નામની કી સરપંચ અને તલાટીને આપવામાં આવી છે. તેમાં સરપંચની કી માત્ર પોતાની ગ્રામ પંચાયત માટે ઉપયોગી બને છે. જ્યારે તલાટીને આપેલી કી અન્ય ત્રણ ગામમાં પણ કામ આવે છે. આથી ગામદીઠ એક જ કી અને વહિવટદાર એક રહેવાથી મતભેદ ઉભા થવાની શક્યતા રહેલી છે.
જોકે ગ્રામ પંચાયતના વહિવટદાર અને તલાટી વચ્ચે મતભેદ ઉભા થાય નહી તે માટે ટીડીઓની દરખાસ્તના આધારે ગ્રામ પંચાયતના વહિવટદારની નિમણુંક કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે વહિવટદાર તરીકે ક્લાર્કની નિમણુંક કરવાની હતી. પરંતુ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવે કરેલા આદેશથી તલાટીને વહિવટદાર તરીકે નિમણુંક કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે વહિવટદારની નિમણૂકને લઇને વિવાદ થતાં તેની કામગીરી ઉપર અસર પડવા સાથે ગ્રામ પંચાયતનો વહિવટ ડામાડોળ થાય તેવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે.
તલાટી તેમજ વહીવટદાર વચ્ચે મતભેદ ઊભા થવાની શક્યતા