દેશભરમાં કૃષિ બિલ મામલે વિરોધપ્રદર્શન ચાલુ છે ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં પોલીસની મંજૂરી વગર વિરોધપ્રદર્શન કરવા જતાં કોંગી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા ભારે ધમાચકડી ના દ્રશ્યો વચ્ચે કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી.
કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાં પાસે વિરોધ કરાયો હતો અને
પહેલે લડે થે ગોરોસે અબ લડેગે ભાજપ કે ચોરો સે જેવા નારાઓ લાગ્યા હતા.
કોંગ્રેસ પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ખેડૂત ને બરબાદ કરવાનું અને જગતનો તાત, અન્નદાતા કહેવાય એ ખેડૂત કોઈકને ત્યાં ગુલામ બને તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું કામ આ ભાજપ કરી રહી છે. કોંગ્રેસનો કાર્યકર રસ્તા પર ઊતર્યો છે અને લોકશાહી ઢબે વિરોધ કરવાની છૂટ પણ આ ભાજપની સરકાર આપતી નથી. જે રીતે અંગ્રેજોના શાસનમાં કોઈ અવાજ ન ઉઠાવે તેને ઉઠાવી લેવાતો હતો તેવુજ કામ ભાજપ કરી રહ્યો છે. અમે ભાજપના નેતાઓને કહેવા માગીએ છીએ કે પહેલે લડે થે ગોરોસે અબ લડેગે ભાજપ કે ચોરો સે, પરંતુ ખેડૂતના હક-અધિકાર લઇને રહીશું
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે લાગે છે કે આ ખેડૂતવિરોધી, મજૂરવિરોધી, ગરીબવિરોધી કાયદાઓને કારણે આઝાદી પહેલાંના ભારતનું નિર્માણ થશે. નવી ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓને આ દેશના ગરીબ, મજૂર, ખેડૂતના પરસેવાની કમાણીને લૂંટવા મોકળું મેદાન મળશે અને આવનારા દિવસોમાં ગુલામ બનાવનારા આ ખેડૂતવિરોધી, ગરીબવિરોધી, ગામડાંવિરોધી કાયદાનો વિરોધ કોંગ્રેસ આવનારા દિવસોમાં ગામડાંની ગલીઓ સુધી આક્રમક વિરોધ કરશે. આવનારા દિવસોમાં રાજ્યનાં 18 હજાર ગામડાં, સમગ્ર રાજ્યમાં અહિંસાના માર્ગે આંદોલનને આક્રમકતા સાથે આગળ લઇ જઇશું. ગાંધીનગર જતાં વડોદરા કોંગ્રેસના 25 કાર્યકરની અટકાયત
કેન્દ્ર સરકારે કૃષિ અને ખેડૂતવિરોધી 3 બિલ મંજૂર કર્યાં હોવાના આક્ષેપ સાથે ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ન્યાયકૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથેજ વડોદરા શહેર કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ગાંધીનગર ખાતે ન્યાયકૂચમાં ભાગ લેવા જાય એ પહેલાં જ પોલીસે 25 જેટલા કાર્યકરોની ધરપકડ કરી હતી, જેમાં વડોદરામાં રહેતી દીકરીને મળવા માટે મહીસાગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પણ પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસ અગ્રણીઓએ પોલીસની કામગીરીને લોકશાહીની હત્યા ગણાવી હતી. આમ હવે કોંગ્રેસે ગુજરાત માં આંદોલન ના મંડાણ કર્યા છે.
